ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યાં છે. જયપુરમાં શિવવિલાસ પેલેસમાં કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. ત્યારે જયપુર જઇ રહેલા જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેટલાક ખુલાસા કર્યા હતા.
કોંગ્રેસમાં રાજીનામાં દોર વચ્ચે ધારાસભ્ય ભીખા જોશીએ આપી પ્રતિક્રિયા
ગઈ વખતે 25 કરોડ કેબિનેટ મંત્રીની ઓફર હતી: ભીખા જોશી
પહેલા ભાજપમાં હતો, હવે પહેલા જેવું ભાજપ નથીઃ ભીખા જોશી
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો જયપુર પહોંચ્યા તેમાં લલિત વસોયા, કિરીટ પટેલ, વિમલ ચુડાસમા, બાબુ વાજા, અનંત પટેલ, આનંદ ચૌધરી, પુના ગામિત સહિતના 35 જેટલા ધારાસભ્યો સામેલ છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પહોંચેલા જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશીએ કહ્યું હતું કે, ગઇ વખતે 25 કરોડ કેબિનેટ મંત્રીની ઓફર હતી. ઓફર છતાં મારે કોંગ્રેસનું ઋણ ચૂકવવાનું છે. મને કોંગ્રેસે 3 વાર ધારાસભ્ય બનાવ્યો છે. પહેલા ભાજપમાં હતો, હવે પહેલા જેવું ભાજપ નથી. કોર્પોરેશનની ચૂંટણીમા અન્યાય થતા મેં વિચારધારા નથી બદલી.
કરોડો રૂપિયામાં MLAને ખરીદાયાઃ અમિત ચાવડા
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે પ્રહાર કરતા કહ્યું હતું કે, કરોડો રૂપિયા, લોભ, લાલચ આપીને ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરાયો છે. કેટલાક કોંગ્રેસના મિત્રોએ લાલચમાં આવીને રાજીનામા આપ્યા છે. ત્યાર બાદ તેમણે કહ્યું કે, મતદારોએ વિશ્વાસ કરીને અમને વિપક્ષ તરીકે ચૂંટ્યા છે. કોંગ્રેસ દ્વારા પ્રજાના તેમના પ્રશ્નોને ઉઠાવવામાં આવશે. સાથે જ તેમણે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોને લઈને પ્રતિક્રિયા આપી છે કે, રાજ્યસભાની ચૂંટણીના બન્ને ઉમેદવારો માટે લડાઈ કરાશે. બન્ને બેઠકોને જીતવાની રણનીતિ સાથે આગળ વધાશે.
રાજીનામાં આપનાર 5 ધારાસભ્યોને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા
ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનારા ધારાસભ્યોની કોંગ્રેસે હકાલપટ્ટી કરી છે. કોંગ્રેસે પાંચેય ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. સોમા પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જે.વી.કાકડિયા, પ્રવિણ મારું અને મંગળ ગાવિતને કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા છે.