જૂનાગઢનાં ઇતિહાસમાં પ્રથમ ઘટના એવી હશે કે કોઇ જેલમાંથી ફોર્મ ભરવા આવ્યું હોય. ફોર્મ રજુ કરવા આવેલા બુટલેગર ધીરેન કારીયાએ એક નેતાનાં અંદાજમાં એમ પણ કહ્યું કે, પેરોલ નહીં મળે તો જેલમાં રહીને ચૂંટણી પ્રચાર કરીશ. મારા ઉપર જે ગુના છે તે હજુ સાબિત થયાં નથી. એટલું જ નહીં જરા પણ શરમ વગર એણે એમ પણ કહ્યું કે, રાજકારણમાં આવીને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાનો પણ હું પ્રયાસ કરીશ. કદાચ આ કુખ્યાત બુટલેગરને હાલની કાયદાની સ્થિતિ માફક નહીં આવતી હોય. દેશનાં બંધારણમાં લોકશાહીનાં રક્ષણ માટે તમામને વ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર આપવામાં આવ્યો છે અને દેશની ન્યાય પ્રણાલિકાનું હાર્દ પણ એ છે કે, સો ગુનેગાર ભલે છૂટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. બસ અસામાજિક તત્વો લોકશાહીનાં આ જ હાર્દનો લાભ ઉઠાવી રહ્યાં છે અને લોકશાહીની ગરિમા ઝાંખી પાડી રહ્યાં છે. આનો ઈલાજ પણ બંધારણે જ કરવો રહ્યો.