જૂનાગઢમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે. જૂનાગઢના ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. તો ખેડૂતો તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે.
જૂનાગઢમાં અતિવૃષ્ટિના કારણે તારાજીના દૃશ્યો આવ્યા સામે
સોયાબીન-મગફળીના પાકો સંપૂર્ણ નિષ્ફળ
ખેડૂતોએ તાત્કાલિક સહાયની કરી માંગ
જૂનાગઢ જિલ્લામાં 12થી 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબકયો છે. ખેડૂતોના ઊભા પાક નિષ્ફળ ગયા છે. જૂનાગઢના પ્રભાતપુર, બાદલપુર જેવા ગામોમાં સોયાબીન અને મગફળી જેવા પાકો મોટા પ્રમાણમાં થાય છે. પ્રભાતપુર, બાદલપુરમાં 80થી 90 ટકા સોયાબિનનું વાવેતર થાય છે. તો ખેડૂતોએ બિયારણ, જંતુનાશક દવાઓ અને ખાતર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરેલ છે. આ ખર્ચના પૈસા ઊભા થાય તેવી પણ સ્થિતિ નથી. તેમાં પણ ખેડૂતોએ ભાગિયામાં જમીનો આપેલી હોય છે ત્યારે ભાગિયાને આપવાનું પણ કંઈ બચ્યું નથી તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે VTV ગ્રાઉન્ડ ઝીરો માટે નુકસાનીનો સાર મેળવવા નુકસાનીવાળા વિસ્તારોમાં પહોંચ્યું છે.
'વ્યાજે પૈસા લઇ ખેતી કરી અને હવે નુકસાન થયું': ખેડૂત
જૂનાગઢ જિલ્લામાં મગફળી અને સોયાબીનનું સૌથી વધારે વાવેતર કરવામાં આવે છે. સોયાબીન અને મગફળીના પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. ત્યારે આ અંગે ખેડૂતોએ કહ્યું કે વ્યાજે પૈસા લઇ અમે ખેતી કરી છે અને હવે નુકસાન થયું છે. માટે સરકાર તાત્કાલિક સહાય કરે જેથી અમને થોડી રાહત થાય. મગફળી, સોયાબિન, કપાસ, તલ સહિતના તમામ પાકના નાશ થયા છે. નદીને ઊંડી કરવામાં આવે એટલે પાણીનો યોગ્ય નિકાલ થયા. સરકાર વ્યવસ્થિત સર્વે કરાવીને યોગ્ય વળતર આપે તેવી ગ્રામજનોની માંગણી છે.
હજુ સુધી સર્વેની કામગીરી પણ ના કરી હોવાની ખેડૂતોએ કરી ફરિયાદો
હજુ સુધી સર્વે માટે પણ આવ્યું નથી અને ખેડૂતોને કોઈ નુકસાનીની ભરપાઈ મળે તેવી પણ આશા નથી. સર્વે તો દર વર્ષે થાય છે પરંતુ અત્યાર સુધી કોઈપણ જાતની સહાય મળી નથી. એમાં પણ આ વર્ષે તો સર્વેની કામગીરી કરવામાં પણ નથી અને હવે જો વહેલી તકે સર્વે કરવામાં નહિ આવે તો ખેડૂતોના ખેતરોમાંથી બગેડેલો પાક વધુ સમય રાખી શકાય તેવી પણ સ્થિતિ નથી. આ ખરાબ પાકને બહાર કઢાઇ જશે પછી નવા પાક નું વાવેતર કરી શકાશે. હજુ સુધી સર્વે માટે ની કામગીરી પણ કરવામાં આવી નથી જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે
ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો
જૂનાગઢ જિલ્લાના ઘેડના ઓશા ગામમાં ઓજાત, સાવલી, મધુવંતીના પાણી ઘુસી જાય છે. ત્યારે ઊભા પાક તૈયાર થવાની અણીએ હતા અને ફરી વરસાદ ખાબકતા ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો હોય તેમ પાક બળી જતાં મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.