જૂનાગઢઃ જિલ્લા પંચાયતની આજે સામાન્યસભા યોજાઇ રહી છે. જેમાં પણ રાજકોટની જેમ બળવો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જૂનાગઢમાં પણ રાજકોટવાળી થવાના ડરે કોંગ્રેસ પોતાના સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ પ્રમુખ સાથે 19 સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ અજ્ઞાત સ્થળ પર સભ્યો સાથે ગુપ્ત બેઠક પણ યોજવામાં આવી છે.
મહત્વનું છે કે હાલ જિલ્લા પંચાયતમાં કમિટીની વરણીને લઈને કોંગ્રેસના 5 સભ્યો નારાજ છે. જિલ્લા પંચાયતમાં 30 સભ્યોમાંથી 27 સભ્યો કોંગ્રેસ પાસે છે. પરંતુ સભ્યોની નારાજગીને લઈને બળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે રાજકોટની જેમ જૂનાગઢમાં પણ સત્તા હાથમાંથી ન જતી રહે તે ઉદ્દેશ્યથી કોંગ્રેસ પોતાના સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે.
કોંગ્રેસના લોકો આવે છે ભાજપમાં અમે સભ્યો નથી તોડતાઃ ભાજપ
ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ સભ્યોને તોડવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના આક્ષેપોને લઈને જૂનાગઢના જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલે નિવેદન આપ્યુ હતું કે ભાજપ દ્વારા કોંગ્રેસના કોઈ સભ્યોને તોડવાના પ્રયાસ કરવામાં આવ્યા નથી. કોંગ્રેસમાં આંતરિક વિવાદના કારણે સભ્યો ભાજપમાં આવી રહ્યા છે. ભાજપે કોંગ્રેસના કોઈ પણ સભ્યોને બોલાવ્યા નથી. તેઓ સામેથી ભાજપ પાસે આવ્યા હતા.
ઘી ના ઠામમાં ઘી પડી રહ્યુઃ કરમટા
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કુલ 30 સભ્યો છે. હાલમાં કોંગ્રેસ પાસે 27 સભ્યો છે. જિલ્લા પંચાયતની સભામાં કોંગ્રેસના સભ્યો બળવો કરે તેના ડરથી સભ્યોને 2 દિવસથી અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. હાલમાં કોંગ્રેસના તમામ સભ્યોને ભવનાથમાં આહિર સમાજની વાડીમાં રાખવામાં આવ્યા છે.
કોંગ્રેસના તમામ સભ્યો ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે જિલ્લા પંચાયતમાં પહોંચશે. ત્યારે હવે આ મામલે જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઈ કરમટાએ નિવેદન આપ્યુ છે કે તમામ સભ્યો કોગ્રેસના પક્ષમાં છે. પક્ષમાં કોઈ અસંતોષ ન હોવાનો કરમટાએ ખુલાસો કર્યો હતો.