જૂનાગઢ ખાતે પોલીસ દ્વારા પત્રકારો પર કરવામાં આવેલ દમન મામલે સુરત મિડિયા વેલફેર એસો. દ્વારા આજે કલેક્ટર અને સુરત શહેર પોલીસ કમિશ્નરને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં દમન કરનાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જૂનાગઢ ખાતે ઇલેકટ્રોનિક મિડિયાના પત્રકારો ઉપર પોલીસ દ્વારા જે લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો તે લાઠી ચાર્જ સામે સમગ્ર ગુજરાત રાજ્યના પત્રકારોમાં રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર પત્રકારો મિડિયા પર લાઠી ચાર્જ કરનારા પોલીસ કર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
ત્યારે સુરત ખાતે પણ સુરત મિડિયા વેલફેર એસો. દ્વારા આજે પત્રકારો પણ કરવામાં આવેલા લાઠી ચાર્જ વિરૂદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કલેક્ટર અને પોલીસ કમિશ્નરને સોંપવામાં આવેલા આવેદન પત્રમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
કાળી પટ્ટી બતાવી વિરોધ
જૂનાગઢમાં પોલીસ દ્વારા પત્રકાર પર હુમલાના મામલે હવે રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં પણ પોલીસનો વિરોધ કરવામાં આવ્યો. રાજકોટમાં ઉમિયા ચોક ખાતે લોકોએ કાળી પટ્ટી બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગતરોજ જૂનાગઢમાં પોલીસે ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર પર લાઠીચાર્જ કર્યો હતો. જેને લઇ રાજ્યભરમાં હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ
જૂનાગઢમાં પત્રકારો પર થયેલા પોલીસ લાઠીચાર્જના ઘેરાપ્રત્યાઘાત રાજ્યભરમાં પડી રહયા છે. અમદાવાદમાં વસ્ત્રાપુર લેક ખાતે પત્રકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વરિષ્ઠ પત્રકારોએ રાજ્યમાં પોલીસની ગુંડાગર્દી સામે રક્ષણ માટે ચર્ચા કરી હતી.
તેમજ જૂનાગઢના કેસમાં તાત્કાલિક પગલાં લેવાય અને પત્રકારો માટે અન્ય રાજ્યની જેમ વિધાનસભામાં સુરક્ષા કાયદો બને તેવી માગ પત્રકાર સમિતિ દ્વારા કરવામાં આવી હતી.
તો સાથે સાથે પત્રકાર ચિરાગ પટેલની હત્યા કેસમાં ન્યાયિક તપાસ થાય અને જલ્દી ન્યાય મળે તેવી પણ માગ કરાઈ હતી. તો આ મુદ્દે જો કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો ગાંધીનગર રેલી યોજીને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
વડોદરા
જૂનાગઢમાં પત્રકાર પર થયેલા હુમલાના મામલે વડોદરા કોંગ્રેસ દ્ધારા પણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત તમામ કોંગ્રેસીઓ હાજર રહ્યાં હતાં. પત્રકારો પર લાઠીચાર્જ કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.