પૂર્વ નાણામંત્રી અને હવે બ્રિટનના વડાપ્રધાન બનવા જઈ રહેલા ઋષિ સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના 357 સાંસદોમાંથી અડધાથી વધુ સાંસદોનું સમર્થન મળ્યું, જ્યારે તેમને નેતા બનવાની રેસમાં બન્યા રહેવા માટે ઓછામાં ઓછા 100 સાંસદોના સમર્થનની જરૂર હતી.
ઋષિ સુનકને બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના બિનહરીફ નેતા ચૂંટવામાં આવ્યા
દિવાળીના દિવસે બ્રિટનને પ્રથમ હિન્દુ વડાપ્રધાન મળી ગયા
અંગ્રેજી ઉપરાંત હિન્દી અને પંજાબી ભાષા જાણે છે ઋષિ
ઋષિ સુનક સોમવારે બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના બિનહરીફ નેતા તરીકે ચૂંટાયા હતા અને આ સાથે જ નક્કી કરવામાં આવ્યું હતું કે ઋષિ સુનક બ્રિટનના આગામી વડાપ્રધાન હશે. બ્રિટનને આશા છે કે પૂર્વ નાણાપ્રધાન સુનક તેમના દેશમાં 'સારા દિવસો' લાવશે. તેમની જીતને લઈને ભારતમાં પણ ખુશીઓ મનાવવામાં આવી રહી છે કારણ કે દિવાળીના દિવસે બ્રિટનને પ્રથમ હિન્દુ વડાપ્રધાન મળી ગયા. તેઓ લગભગ 200 વર્ષમાં સૌથી યુવા બ્રિટિશ પીએમ છે. કિંગહામ પેલેસમાં કિંગ ચાર્લ્સ ત્રીજાને મળ્યા બાદ મંગળવારે ઋષિ સુનક ઔપચારિક રીતે દેશના નવા વડાપ્રધાન બનશે. ચાલો જાણીએ તેમના વિશેની પાંચ મોટી વાતો-
ભારત સાથે જોડાયેલા છે મૂળ
ઋષિ સુનક થોડા અઠવાડિયા પહેલા પીએમ પદની રેસમાં લિઝ ટ્રસ સામે હારી ગયા હતા. આ તેમની શાનદાર રાજકીય વાપસી છે. તેઓ મંગળવારે વડાપ્રધાન બનીને ઈતિહાસ રચશે. બ્રિટનની સત્તાના સુકાન પર બેઠેલા સુનક પ્રથમ એવા વડાપ્રધાન છે, જેમના મૂળ ભારત સાથે જોડાયેલા છે અને જે હિન્દુ છે. તેમના દાદા-દાદી પંજાબના વતની હતી અને 1960ના દાયકા પહેલા આફ્રિકાથી સ્થળાંતર કરીને બ્રિટન આવ્યા હતા. ઋષિ સુનકના પિતા એક ડૉક્ટર હતા અને તેમની માતા ફાર્મસી હતા. ઓક્સફોર્ડ અને સ્ટૈનફોર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પહેલા ઋષિ સુનક એક ભારતીય રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કરતા હતા. અંગ્રેજી ઉપરાંત ઋષિ હિન્દી અને પંજાબી ભાષા પણ જાણે છે.
ઋષિ સુનકને હિન્દુ હોવા પર ગર્વ
ઋષિ સુનક હિન્દુ છે અને તેમની ધાર્મિક ઓળખને લઈને તેઓ ખૂબ જ મુખર રહે છે. તેઓ નિયમિતપણે મંદિર જાય છે અને તેમની પુત્રીઓ અનુષ્કા અને કૃષ્ણાના મૂળ પણ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. જ્યારે ઋષિ સુનક સાંસદ બન્યા હતા, ત્યારે તેમણે ભગવદ ગીતાના શપથ લીધા હતા. એક રેલીમાં ઋષિ સુનકે કહ્યું હતું કે, તેઓ ભલે એક બ્રિટિશ નાગરિક છે, પણ તેમને "હિન્દુ હોવા પર ગર્વ છે".
નારાયણ મૂર્તિના જમાઈ
કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતી વખતે ઋષિ સુનકની મુલાકાત ફેશન ડિઝાઇનર અક્ષતા મૂર્તિ સાથે થઈ હતી. ઓગસ્ટ 2009માં અક્ષતા અને ઋષિ સુનક લગ્નના બંધનમાં બંધાયા હતા. અક્ષતા ઈન્ફોસિસના સહ-સ્થાપક અને ભારતના સૌથી ધનિક લોકોમાંના એક નારાયણ મૂર્તિની દીકરી છે.
ઋષિ સુનક પાસે કેટલી સંપતિ છે?
ઋષિ સુનકને હાઉસ ઓફ કોમન્સમાં સૌથી ધનિક વ્યક્તિ કહેવાય છે, જેમની કુલ સંપત્તિ 730 મિલિયન પાઉન્ડ છે. કેટલાક રિપોર્ટ્સ એવો દાવો કરે છે કે તેમની પત્ની બ્રિટનના સમ્રાટ કરતા પણ વધુ ધનિક છે. માનવામાં આવે છે કે દંપતીની કુલ સંપત્તિનો એક મોટો હિસ્સો ઈન્ફોસિસના હિસ્સામાંથી આવે છે. જોકે, 2015માં રાજકારણમાં પ્રવેશતા પહેલા ઋષિ સુનકની ફાઇનાન્સના ક્ષેત્રમાં સફળ કારકિર્દી રહી છે. દંપતિની પાસે લંડન, કેલિફોર્નિયા, સૈન્ટા મોનિકા અને યોર્કશાયરમાં અનેક ઘર છે. ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિ તેમની સંપત્તિના કારણે હેડલાઇન્સ બનાવી ચૂક્યા છે.
ઋષિ સુનકની રાજકીય સફર
વર્ષ 2015માં યૉર્કશાયરની રિચમંડ સીટ જીતીને ટોરી નેતા ઋષિ સુનકની રાજકીય સફર શરૂ થઈ હતી. ફેબ્રુઆરી 2020માં સાજિદ જાવિદના રાજીનામા બાદ સુનક ચાન્સેલર ઑફ ધ એક્સ્ચેકરના પદ પર પહોંચ્યા હતા. ઋષિ સુનકના નજીવા અનુભવને લઈને કેટલાક લોકોને તેમના પર શંકા હતી પરંતુ કોવિડ મહામારી દરમિયાન આર્થિક મોરચાને સફળતાપૂર્વક સંભાળીને તેમણે તેમના ટીકાકારોને ખોટા સાબિત કર્યા હતા. થોડા મહિના પહેલા સુધી સુનક બોરિસ જ્હોન્સન કેબિનેટમાં નાણાંમંત્રી હતા, પરંતુ તેમના રાજીનામાએ બ્રિટનમાં એક રાજકીય પરિવર્તનનો પાયો નાખ્યો હતો. આજે ટેક્સ-કટના લોભામણા વચનોને બદલે મોંઘવારીને ઘટાડવા અને અર્થતંત્રને વધુ સારી સ્થિતિમાં લાવવાની તેમની વ્યૂહાત્મકતાના કારણે ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.