દેશમાં અભિવ્યકિતની આઝાદી સંવિધાને આપી છે. જોકે આ આઝાદીની સીમા કેટલી તેનો વિવાદ અવારનવાર ઊઠે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અંગે અભદ્ર ટ્વિટ કરનાર પત્રકાર પ્રશાંત કનૌજિયાને ઉત્તરપ્રદેશ પોલીસે મુક્ત કરવાની ફરજ પડી હતી.
જોકે હવે ફરી એ ચર્ચા સોશિયલ મીડિયા પર શરૂ થઇ છે કે અભિવ્યકિતની આઝાદીના નામે કોઇ પણ વ્યકિતને અન્ય કોઇપણ સામે ગમે તે લખવાની કે બોલવાની છુટ મળે છે? તેની કોઇ સીમા કે મર્યાદા કોણ નક્કી કરશે? દરેક અધિકારની એક જવાબદારી પણ છે. તમને ગમે તે કપડાં પહેરવાની છૂટ છે પણ જાહેરમાં નગ્ન થઇને ફરવાની નહીં.
આ તેના જેવી વાત છે. વળી આઝાદીનો દુરુપયોગ કરનાર પર લગામ કોણ લગાવે તે પણ એક મોટો સવાલ છે. લોકસભાની ચૂંટણી દરમિયાન બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીના ફોટા સાથે ચેડાં કરીને નિર્દોષ મીમ બનાવનાર ભાજપની મહિલા કાર્યકરને દિવસો સુધી મમતા સરકારે જેલમાં રાખી હતી. જોકે સુપ્રીમ કોર્ટેના આદેશથી જ તેનો પણ છુટકારો થયો હતો.
આ બંને ઘટનામાં જોકે કહેવાતા સેકયુલર, બુદ્ધિજીવી અને અભિવ્યકિતની સ્વતંત્રતાના પહેરેદારોએ સગવડિયો ધર્મ અપનાવ્યો હતો. ભાજપ કાર્યકરની ધરપકડ સામે મૌન રહેનાર આ લોકોએ ફ્રી લાન્સ પત્રકારની ઉત્તર પ્રદેશ પોલીસ કરેલી ધરપકડનો જોરદાર વિરોધ કર્યો હતો.
બીજી બાજુ ફેસબુક પર કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામી અંગે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ગુનો દાખલ કરાયો તેની સામે પણ આ લોબીએ કોઇ ઉહાપોહ મચાવ્યો ન હતો.ભારત જેવા દેશમાં અભિવ્યકિતની આઝાદીના નામે લોકો ગમે તે લખે તેનાથી વૈમનસ્ય અને હિંસા પણ ફેલાઇ શકે છે. સામાજિક સમરસતા પર પણ ખતરો પેદા થાય છે. બીજી બાજુ પોતાને પત્રકાર કહેનારે પણ જવાબદારીપૂર્વક વર્તવું જોઇએ. આકરામાં આકરી ટીકા કરવાની પત્રકાર સહિત બધાને છૂટ છે પરંતુ તેમાં ભાષાની મર્યાદા અને વિવેક ન ચુકાવો જોઇએ. કેમ કે કોઇ પણ સ્વતંત્રતા અસીમ હોતી નથી.
પ્રશાંત કનૌજિયાએ જે ટ્વિટ કર્યા તેનો સભ્ય સમાજની કોઇપણ વ્યકિત બચાવ કરી શકે નહીં. બીજી બાજુ એ પણ હકીકત છે કે ઉત્તરપ્રદેશ પોલીસે તેની ધરપકડ કરવામાં જરૂર કરતાં જરા વધારે કડકાઇ બતાવી હતી. પોલીસે તેની ધરપકડ કરવાનું ટાળવા જેવું હતું. તેનાથી પ્રશાંત કનૌજિયાને પબ્લિસિટી અને લોકોનો સપોર્ટ મળ્યો ઉપરાંત ઉત્તરપ્રદેશની પોલીસને સુપ્રીમ કોર્ટમાં ફટકાર પણ મળી.
એડિટર ગિલ્ડ જેવી સંસ્થાઓ પ્રશાંત કનૌજિયાના સમર્થનમાં બહાર આવી તે સમજી શકાય તેમ છે પણ તેમણે સ્પષ્ટ શબ્દોમાં તની ટ્વિટની ભાષાને પણ વખોડવાની જરૂર હતી.પ્રશાંત કનૌજિયાએ જે પણ કર્યું તે શું સ્વસ્થ અને પરિપકવ પત્રકારત્વ હતું તે પણ આ બધી સંસ્થાઓએ જોવું જોઇએ. અભિવ્યકિતની સ્વતંત્રતા તમને કોઇના ચારિત્ર્ય પર કીચડ ઉછાળવાની કે જુઠ્ઠાણા ફેલાવાની છૂટ નથી આપતી.
સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ બદલ ધરપકડનો આ કંઇ પહેલો બનાવ પણ નથી. અવારનવાર વિવિધ રાજયની પોલીસ સરકારના ઇશારે તેમ કરે છે. પણ સૌથી કઠે તેવી વાત એ છે કે અભિવ્યકિતની આઝાદીની ગુલબાંગો પોકારનાર સરકારનો પક્ષ અને આરોપીની વિચારધારા જોઇ અલગ અલગ સ્ટેન્ડ લે છે. આજે જયારે સોશિયલ મીડિયામાં કરોડો લોકો સક્રિય છે. લોકોને પોતાના વિચારો વ્યકત કરવાની પૂરેપૂરી આઝાદી પણ છે. ત્યારે હવે એવી વ્યવસ્થા બનવી જોઇએ કે જેથી કોઇ તેનો દુરુપયોગ પણ ન કરે અને કોઇની સામે જરૂરથી વધારે કડક કાર્યવાહી પણ ન થાય.