પત્રકાર ચિરાગ પટેલની હત્યા મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચિરાગની શ્વાસનળી અને ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ મળી આવ્યું છે અને મોત પહેલાં ચાઈનીઝ ખાધુ હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત ચિરાગનું મોત રાત્રે 8થી 9ની વચ્ચે થયું હોવાનો ખુલાસો થયો છે. જેને લઈને હત્યા કે આત્મહત્યા મામલે પોલીસનું ભીનું સંકેલવાની નીતિ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પોલીસ નિવેદન આપી ચુકી છે કે, ચિરાગનું મોત સાંજે 5થી 6ની વચ્ચે થયું છે. જો કે, હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ અનેક સવાલો ઉઠ્યા છે.
તમને જણાવીએ કે, પત્રકાર ચિરાગ પટેલ હત્યાના મામલે દ્વારા પોલીસની દિશા વિહીન તપાસ ચાલી રહી છે. પોલીસ ચિરાગના મોબાઈલની શોધખોળ માટે ઘટના સ્થળે પહોંચી હતી. મોબાઇલનુ છેલ્લું લોકેશન ઘટના સ્થળ હોવાથી પોલીસે સર્ચ ઓપરેશન આદર્યુ હતું. તેમજ ક્રાઇમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે તપાસ કરી ચુકી છે.
મહત્વનું છે કે, નિકોલમાં રહેતા અને ગુજરાતી ન્યૂઝ ચેનલના કોપી એડિટર ચિરાગ પટેલનો મૃતદેહ કઠવાડા ટેબલી હનુમાન મંદિર નજીક કેનાલ પાસેથી ખુલ્લી જગ્યામાંથી સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. કોઈએ હત્યા કરી પુરાવાના નાશ કરવા માટે મૃતદેહ સળગાવી દીધો કે, કોઈક કારણોસર આપઘાત કર્યો છે તે અંગે હજી સુધી પોલીસ તપાસમાં કોઇ જ ખુલાસો થયો નથી. જો કે પોલીસનાં જણાવ્યાં પ્રમાણે તેનું સ્પ્લેન્ડર બાઇક, પર્સ અને આઇકાર્ડ 20 ફુટ દુર મળી આવ્યા હતા, પરંતુ તેનો મોબાઇલ મળ્યો નથી. છેલ્લે તેણે શુક્રવારે સાંજે તેના ભાઇને કોલ કર્યો હતો.
આ ઉપરાંત તેણે રૂપિયા 10 હજાર આસપાસનું આરટીજીએસ કોઇને કરાવ્યું હતુ. જ્યારે પીએમના પ્રાથમિક રિપોર્ટમાં સળગી જવાથી મોત થયાનું ખુલ્યું હતું. તો જોવાનું એ રહે છે કે, પોલીસ આ અંગે ગંભીરતાથી ક્યારે તપાસ કરશે અને ક્યારે તેના હત્યારાઓ સુધી પહોંચશે?