ગુજરાતના જાણીતા પત્રકાર અને કટાર લેખક કાંતિ ભટ્ટનું મુંબઈમાં કાંદિવલીમાં 88 વર્ષ નિધન થયું છે. 6 દાયકાથી વધુ સમયથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે તેમણે હજારો લેખો લખ્યા અને લગભગ તમામ અખબારમાં ટોચના કટાર લેખ લખ્યા હતા.
કાંતિ ભટ્ટનો જન્મ 15 જુલાઈ, 1931ના રોજ ભાવનગરના સાંચરા ગામમાં થયો હતો. તેઓ ગુજરાતના જાણીતા પત્રકાર અને લેખક હતા. તેમણે ખાનગી સમાચાર પત્રોમાં વર્ષો સુધી કામ કર્યુ છે. છેલ્લા શ્વાસ સુધી તેઓ લેખન કરતા રહ્યા હતા.
૧૯૬૬માં તેમણે મુંબઈમાં પત્રકાર તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો હતો. ૧૯૬૭માં તેઓ જન્મભૂમિ ગ્રુપના 'વ્યાપાર'ના સહ-સંપાદક હતા. ત્યારબાદ તેમણે જુદા જુદા અખબાર અને મેગેઝિનમાં કામ કર્યું હતું. ૧૯૭૭માં તેમણે કેન્યામાં પણ થોડો સમય કામ કર્યું. તેઓ સંશોધન પત્રકારત્વ માટે જાણીતા હતા. ભોપાલ ગેસ દુર્ઘટના વખતે તેમનું રિપોર્ટિંગ ખૂબ વખણાયુ હતું.
કાંતિ ભટ્ટનો એક શિક્ષક અને ખેડૂત પિતાના પુત્ર હતા. તેમના પિતા હરગોવિંદદાસ શિક્ષક હોવાની સાથે કલાકાર પણ હતા. નાનાપણથી જ તેમને કળાના સંસ્કારો મળેલા હતા. નવ વર્ષની ઉંમરે તેઓ ગ્રામ પંચાયતની લાયબ્રેરી ચલાવતા હતા. સહકારી મંડળીના સેક્રેટરી પણ હતા. મહુવામાં તેઓએ પ્રાથમિક શિક્ષણ લીધું. 1942માં તેઓએ રાયફલ ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. તેઓ 15 વર્ષની ઉંમરે મહુવાના મેગેઝીનના તંત્રી હતા. તેઓ અચાનક બીમાર પડતા ડોક્ટરોએ કહ્યું હતું કે તેઓ છ મહિના જીવશે. પણ પોતાના દ્રઢ મનોબળથી તેઓ જીવ્યા. જાતે આયુર્વેદના પુસ્તકો વાંચી પોતાની બીમારીનો ઈલાજ કર્યો અને સાજા થયા હતા.