ઉત્તરાખંડનું જોશીમઠ મોટા સંકટનો સામનો કરી રહ્યું છે, જમીન ખસી રહી છે. ઘરોની જમીનમાંથી પાણી બહાર આવી રહ્યું છે, રસ્તાઓમાં મોટી મોટી તિરાડો પડી રહી છે, અને સરકારથી નારાજ લોકો હવે પ્રદર્શન કરી રહ્યા છે.
પાતાળમાં સમાઈ રહ્યો છે પહાડ
ઉત્તરાખંડના જોશીમઠમાં લોકોનું રેસ્ક્યૂ શરૂ
સરકારની સહાયતા રાશિથી લોકોમાં નારાજગી
હેલિકોપ્ટર પણ ઈમરજન્સી માટે તૈનાત
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, રાજકારણ તેજ
ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી જવા તથા ઘરો, મંદિરો સહિત તમામ જગ્યાઓ પર તિરાડો પડવા મામલે હવે રાજકારણ તેજ થઈ ગયું છે, બીજી તરફ સમગ્ર મામલો હાલ તો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવીમુક્તેશ્વરાનંદ મહારાજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ છે અને લોકોને આર્થિક વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે, સાથે સાથે સંપત્તિનો વીમો પણ કરી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કુદરતી આફતના કારણે આદિ શંકરાચાર્ય સાથે જોડાયેલ પ્રાચીન જગ્યાઑ નષ્ટ થઈ શકે છે.
મુખ્યમંત્રીએ શનિવારે જોશીમઠની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારોને સાંત્વના આપી હતી, જોકે રાજ્ય સરકાર દ્વારા ખૂબ ઓછી આર્થિક સહાય આપવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. એવામાં આજે ઉત્તરાખંડના પૂર્વ CM અને કોંગ્રેસ નેતા હરીશ રાવત જોશીમઠ જઈ રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિતનાં નેતાઓ પહેલેથી જ ત્યાં પહોંચી ગયા છે. આ સિવાય આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ડેલિગેશન લઈને પહોંચ્યા છે.
રાહત કેમ્પમાં રહી રહ્યા છે લોકો
પરિસ્થિતિને જોતાં લોકોને હવે ડેન્જર ઝોનમાંથી સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવી રહ્યા છે. પોતાની આંખોની સામે જ બરબાદ થતું શહેર જોઈને લોકો રડી રહ્યા છે. જેમના ઘરોમાં નુકસાન થયા છે તે પરિવારો હાલ તો એક જ રૂમમાં રહેવા મજબૂર છે, સરકાર દ્વારા જે વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે તેમાં જ તેઓ રાતવાસો કરી રહ્યા છે. બીજી તરફ ઉત્તરાખંડની કાતિલ ઠંડી પણ મુશ્કેલી વધારી રહી છે.
1976માં થઈ હતી ભવિષ્યવાણી
જોશીમઠમાં ભૂસ્ખલન નવી વાત નથી. થોડા વર્ષો પહેલાં ભૂસ્ખલનની ઘટના વધવાને લીધે તપાસ માટે મિશ્રા કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું હતું અને 1976માં આ કમિટીએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું કે જોશીમઠ જૂનાં ભૂસ્ખલન ક્ષેત્રોમાં સમાવિષ્ટ છે. આ ક્ષેત્ર બોલ્ડરો અને નબળી માટીમાં વસેલું છે. કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યાં છે કે વીજળી પરિયોજના અને રોડ રસ્તાનાં નિર્માણ માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવાને લીધે પણ ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. 1976માં તો આ પરિસ્થિતિનો સામનો કરવા માટેનો ઉપાય પણ આપવામાં આવ્યો હતો જેમાં વધુ વક્ષારોપણને લઈને સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ 2001માં પણ એક રિપોર્ટમાં આ ખતરાને લઈને આગાહી કરવામાં આવી હતી.
ફેબ્રિકેટેડ મકાનો તૈયાર થશે
જોશીમઠમાં થયેલ ભૂલ્ખલન બાદ પ્રશાસને લોકોને સુરક્ષિત સ્થળોમાં ખસેડી દીધેલ છે. પ્રશાસને પ્રભાવિત પરિવારોને શિફ્ટ કરવા માટે NTPC અને HCC કંપનીઓને તાત્કાલિક ધોરણે 2-2 હજાર પ્રી-ફેબ્રિકેટેડ ભવન તૈયાર કરવાનો પણ આદેશ આપેલ છે. જોશીમઠને બચાવવા માટે સરકાર તમામ શક્ય પ્રયાસો કરવા તૈયાર છે.
શા માટે કંપી રહ્યું છે જોશીમઠ?
જોશીમઠ કંપિત થવાનું મુખ્ય કારણ ભૌગોલિક પરિબળ છે. જોશીમઠની જમીનની કન્સ્ટ્રક્શન સહન કરવાની ક્ષમતા ઘણી ઓછી છે. એક્સપર્ટ્સએ ઘણા સમય પહેલા કન્સ્ટ્રક્શન અંગે ચેતવણી આપી હતી તેમ છતાં વધુ પડતાં ભારે બાંધકામ, હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અને નેશનલ હાઈવેને પહોળું કરવા વગેરે જેવી પ્રવૃતિઓને લીધે સ્થિતિ લથળતી હોય તેવું લાગી રહ્યું છે.આ ક્ષેત્ર બોલ્ડરો અને નબળી માટીમાં વસેલું છે જેના કારણે જાણકારોએ જણાવ્યું કે આ જમીન વધુ પડતું પ્રેશર સહન નથી કરી શકતી. આ પ્રેશર મોટા ભાગે પાણી એટલે કે ચોમાસા દરમિયાન સર્જાય છે.