ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રદ્દ કરવામાં આવી છે. ભારતીય ટીમ આ શ્રેણીમાં 2-1થી આગળ છે. તો 5મી ટેસ્ટ મેચ રદ્દ થયા બાદ ઈંગ્લેન્ડના બે મોટા ખેલાડીઓ જોની બેયરસ્ટો અને ડેવિડ મલાને આઈપીએલ 2021ની બીજી સિઝનમાંથી નામ પાછુ ખેંચ્યુ છે.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ કરાઈ રદ્દ
ઈંગ્લેન્ડના આ 2 સ્ટાર ખેલાડીઓ થયા નારાજ
જોની બેયરસ્ટો અને ડેવિડ મલાને IPLમાંથી નામ પાછું ખેંચ્યું
ઈંગ્લેન્ડના બે મોટા ખેલાડીઓએ નામ પાછુ ખેંચ્યું
આઈપીએલ 2021નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી યુએઈમાં રમવામાં આવશે. જોની બેયરસ્ટો અને ડેવિડ મલાને નામ પાછુ ખેંચતા સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને પંજાબ કિંગ્સ ટીમને જોરદાર ઝાટકો લાગ્યો છે. જોની બેયરસ્ટો આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદ્રાબાદના આક્રમક બેટ્સમેન છે. જ્યારે ડેવિડ મલાન પંજાબ કિંગ્સ ટીમનો ભાગ છે. મલાને આઈપીએલના પ્રથમ તબક્કામાં ફક્ત એક મેચ રમી હતી. તો મીડિયા અહેવાલ મુજબ, આ બંને ખેલાડી માન્ચેસ્ટર ટેસ્ટ રદ્દ થયા બાદ નારાજ છે. ભારતના ફિજિયો યોગેશ પરમાર પાંચમી ટેસ્ટ મેચ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ આ મેચને રદ્દ કરવામાં આવી હતી. જોકે, ભારતીય ખેલાડીઓના આરટીપીસીઆર રિપોર્ટ નેગેટીવ આવ્યાં હતા.
જોસ બટલર અને જોફ્રા આર્ચર આઈપીએલની મેચો રમશે નહીં
આ બંને ખેલાડીઓ સિવાય જોસ બટલર, જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ પણ આઈપીએલ 2021ની બાકી મેચો રમી શકશે નહીં. જોસ બટલર ખાનગી કારણોને કારણે ટુર્નામેન્ટમાં ભાગ લીધો ન હતો. જ્યારે સ્ટોક્સે માનસિક સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને ક્રિકેટમાંથી અનિશ્ચિત સમયનો બ્રેક લઇ લીધો છે. જ્યારે જોફ્રા આર્ચર ઘાયલ છે અને તેના કારણે તેઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં.
માઈકલ વોને ભારતીય ટીમ પર ઉઠાવ્યાં સવાલ
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ 5મી ટેસ્ટ મેચ રદ્દ થયા બાદ સવાલ ઉઠાવ્યાં છે. તેમનું કહેવુ છે કે, આ બધા પૈસા અને આઈપીએલને ફાયદો કરાવવા માટે થયુ છે. આ સાથે જ તેમનું કહેવુ છે કે ખેલાડીઓને કોરોના સંક્રમણનો અને આઈપીએલને મિસ કરવાનો ડર લાગતો હશે. વોને કહ્યું કે એક અઠવાડિયામાં અમે આઈપીએલને જોઈશું અને ખેલાડીઓ હસતા-હસતા દરેક બાજુએ દોડશે.