વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજથી અમદાવાદમાં પર્યાવરણ બચાવવા માટે CM રૂપાણીની હાજરીમાં અલગ અલગ 4 અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સૌપ્રથમ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ વૃક્ષા રોપણ કર્યું અને મિલિયન ટ્રી અભિયાનને લીલીઝંડી આપી હતી. આ સાથે મુખ્યમંત્રીએ Joint Enforcement Teams (JET) ને પણ લીલીઝંડી આપી છે. જેમાં શહેરના 48 વોર્ડમાં ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવશે. આ ટીમને 50 જેટલી ઈ-રિક્ષા આપવામાં આવી છે.
હવે અમદાવાદમાં ગંદકી કે ગેરકાયદે વાહનો પાર્ક કરશો તો ઈ-રિક્ષા (e-Rikshaw) આવીને કાર્યવાહી કરે તેવો એક્શન પ્લાન ઘડાયો છે. જે ઈ-રિક્ષાનું સીએમ દ્વારા આજે શુભારંભ કરાયું છે. હાલ આ રીક્ષા ૪૮ વોર્ડ માટે કાર્યરત કરાઈ છે.
શું છે આ ઈ-રીક્ષાનો એક્શન પ્લાન?
પાર્કિંગ કરવામાં કરશે મદદ
ગુજરાતના અમદાવાદમાં મુખ્ય સમસ્યા ટ્રાફિક નીચે વિવિધ રાજમાર્ગો પર આડેધડ લારી-ગલ્લાવાળાઓનું દબાણ છે. ગેરકાયદેસર બાંધકામો પુષ્કળ પ્રમાણમાં થયા હોવાથી પાર્કિંગની જગ્યાના અભાવે લોકોને જાહેર માર્ગો પર વાહનોને પાર્ક કરવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિ કારણે આમદાવાદનો લોકો ભારે પરેશાન થઈ ગયા છે. તમને મદદ કરવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરાયો જેનું આજે ઉદ્ઘાટન સીએમના હસ્તે કરાયું છે.
ગમે ત્યાં કચરો ફેંકનારા કે જાહેરમાં થૂંકનારા સામે થશે કાર્યવાહી
શહેરમાં ઠેરઠેર કચરો ઠાલવી દેવામાં આવે છે અને લોકો જ્યાં ત્યાં પાનની પિચકારી મારી શહેરને ગંદુ કરે છે. જોકે આવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે આમ છતાં શહેરને સ્વચ્છ રાખવા માટે તેમજ ટ્રાફિકની હાલાકી દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ(JET) બનાવી છે. આ ટીમ દેશભરના શહેરોમાં સૌપ્રથમવાર અમદાવાદમાં બની છે.
AMC અને ટ્રાફિક પોલીસની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ(JET) કરશે કાર્યવાહી
આ ટીમની અંદર વાહનના ડ્રાઈવર પોલીસ વિભાગના બે જવાનો, એસ્ટેટ ખાતાના ઇન્સ્પેક્ટર, હેલ્થ વિભાગના સેનેટરી, સબ ઇન્સ્પેક્ટર, આમ મળી કુલ પાંચ સભ્યો રહેશે. આ ટીમ શહેરમાં ટ્રાફિક અને સ્વચ્છતા ઝુંબેશ ઉપાડશે. અમદાવાદના કુલ ૪૮ વોર્ડમાં ટીમના સભ્યો સઘન ચકાસણી કરશે. તેમજ ગમે ત્યાં કચરો ફેંકનારા કે જાહેરમાં ગમે ત્યાં થૂંકનારા. ગેરકાયદેસર દબાણ કરનાર કે કોઈપણ રીતે ગંદકી કરનારા લોકો અને દીવાલો ઉપર ગેરકાયદેસર પોસ્ટર લગાવનારા કે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા અને વાહનોનું આડેધડ પાર્કિંગ કરનારા લોકો સામે સ્થળ ઉપર જ દંડનીય કાર્યવાહી કરાશે.
— Ahmedabad Police (@AhmedabadPolice) June 5, 2019
ઈ-મેમો નહીં ભરનાર પાસે ટ્રાફિક પોલીસ રસ્તામાં રોકી દંડ વસુલશે
સાથે જ તાત્કાલિક દંડ નહીં ભરનાર વ્યક્તિને સક્ષમ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. ઉપરાંત આગામી સમયમાં તમામ ૪૮ વોર્ડમાં બેટરીથી ચાલતી રિક્ષાઓ દોડાવાશે રિક્ષાઓ ઉપર આદત બદલો અમદાવાદ બદલાશે એવું સૂત્ર પણ લખેલું હશે. હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોજના 30,000 ઈ-મેમો મોકલવામાં આવે છે જેમાંથી માત્ર ૪૦ ટકા લોકો જ દંડ ભરે છે. દંડ નહીં ભરનાર લોકોને ટ્રાફિક પોલીસ રસ્તામાં રોકી દંડની વસુલાત કરશે. આગામી સમયમાં રોજના એક લાખ ઈ-મેમો મોકલવામાં આવશે.