બોલિવૂડમાં છેલ્લા ઘણાં સમયથી ઈનસાઈડર્સ-આઉટસાઈડર્સ જેવા શબ્દો વધારે સાંભળવા મળી રહ્યાં છે. સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ આ દરેક બાબતોને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. કંગના રનૌત જેવા સ્ટાર્સે પણ આ મુદ્દાને લઈને બોલિવૂડમાં સવાલો ઊભા કર્યા છે અને સતત ઈન્ડસ્ટ્રી પર ભાઈ ભત્રિજાવાદનો આરોપ લગાવ્યો છે. જોકે, આ મામલે જોન અબ્રાહમનો મત ઘણો અલગ છે.
ઈનસાઈડર્સ-આઉટસાઈડર્સ પર જોન અબ્રાહમે કહી આ વાતો
જોનએ કહ્યું કે હું પણ રડીને કહી શકું છું કે મારી સાથે અન્યાય થયો છે
નેપોટિઝ્મ મામલે જોન અબ્રાહમનો મત ઘણો અલગ છે
જોન અબ્રાહમ એ ગણતરીના સ્ટાર્સમાંથી એક છે જે ઈન્ડસ્ટ્રીમાં એક આઉટસાઈડર તરીકે આવ્યો અને બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો. જોકે, જોન આ ટેગ્સથી પોતાને દૂર રાખવાના પ્રયત્નો કરે છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, હું આવી વાતોમાં વિશ્વાસ નથી કરતો. આ ટ્વિટર ટ્રેન્ડિંગ કલ્ચરનો ભાગ છે. મને લાગે છે કે દરેક માણસ પછી તે ઈનસાઈડર હોય કે આઉટસાઈડર તેને પોતાની લડાઈ લડવી પડે છે. પછી ભલે તમે આ વાતને લઈને શાંતિથી સમાધાન કરો અથવા તો આ વાતને મનમાં રાખીને કડવાશ રાખો. પરંતુ તમારે આ ફાઈટ લડવી જ પડે છે. દરેક માણસને કોઈ ન કોઈ વસ્તુ સાબિત કરવી પડતી હોય છે. જેથી આ વાતને લઈને તમે ફરિયાદ કરતા રહો અથવા તો શાંતિથી પોતાના કામ પર ફોકસ કરો. હું આ વાતને લઈને સ્પષ્ટ છું કે હું અહિંયા મારું કામ કરવા આવ્યો છું અને હું તે કરવામાં જ વિશ્વાસ રાખુ છું.
શું જોન પણ નેપોટિઝ્મનો ભોગ બન્યો છે અને સ્ટાર કિડ્સને કારણે ફિલ્મો ગુમાવી છે? આના પર જોનએ કહ્યું કે હું આ વાતનો એક જ રીતે જવાબ આપી શકુ છું. જો તમને તક નથી મળતી તો તમે તમારો રસ્તો પોતે બનાવો છો. હું આ વાતને લઈને બિલકુલ નિરાશા નથી અનુભવતો કે ઈન્ડસ્ટ્રીના કોઈ કલાકારને મારા કરતા વધારે તક મળી છે.
તેણે વધુમાં કહ્યું કે, હું આભારી છું કે મૈં પોતાની જગ્યા પોતે બનાવી છે. મને પોતાના પર આત્મવિશ્વાસ છે. હું પણ રડી શકુ છું, મારી છાતી પીટી શકું છું અને કહી શકુ છું કે મારી સાથે અન્યાય થયો છે. પરંતુ આ મારું કામ નથી. આ એ વસ્તુ નથી જેનાથી હું બન્યો છું. હું તેના કરતા વધારે મજબૂત છું. મારુ માનવુ છે કે જો તમને તક ન મળે તો તમે તમારી તક પોતે ઊભી કરો. જો તમે આ દુનિયાથી કોઈ સંબંધ નથી રાખતા તો પોતાની ખુદની દુનિયા બનાવો.