24 કલાકમાં અમદાવાદના પોશ એરિયા જોધપુરમાં 21 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. જે દર્દીઓ લક્ષણો વિનાના એટલે કે asymptomatic છે તેમને AMC અધિકારીઓ દ્વારા હોમ ક્વોરેનટાઈન કરાયા છે.
ઘરની બહાર ન નીકળેલા લોકો પણ પોઝિટિવ આવતા તંત્ર દોડતું
બુધવારે રેન્ડમ ટેસ્ટિંગ રાઉન્ડમાં આ કેસ સામે આવ્યા હતા.
સ્થાનિકોને ભય છે કે સંક્રમણ શાકભાજી વેચનારાઓ વડે તેમના વિસ્તારમાં ફેલાયું છે.
કઈ સોસાયટીમાં કેટલા કેસ?
સૌથી વધુ 12 કેસ સ્વામિ વિવેકાનંદ ફ્લેટ, 4 કેસ મૌલિક ટેનામેન્ટ અને 2-2 કેસ અનુપમ સોસાયટી અને કલાદીપ એપાર્ટમેન્ટ અને 1 કેસ નંદનવન-3 એપાર્ટમેન્ટમાં સામે આવ્યા છે. આ અંગે AMC કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે તંત્રની વધુ પ્રમાણમાં ટેસ્ટિંગ કરવાની ડ્રાઈવને પગલે ગ્રીન ઝોનમાં પણ આ કેસીસ સામે આવ્યા છે. લોકોની સુરક્ષા માટે શરૂઆતના જ તબક્કામાં કેસ સામે આવી જાય તે માટે ટેસ્ટિંગ ચાલુ રાખવામાં આવશે.
સોસાયટીઓને જડબેસલાક બંધ કરી દેવાઈ
તેમણે જણાવ્યું કે દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કવોરેનટાઈન કરવાની સૂચના અપાઈ છે. તંત્રને કોન્ટેક્ટ ટ્રેસિંગ સિસ્ટમથી સંપર્કમાં આવેલા લોકોની ઓળખ થઇ શકશે. આ ઉપરાંત AMC આ વિસ્તારના શાકભાજી વેચનારાઓના પણ સ્ક્રીનિંગ કરી રહી છે. આ પગલે સોસાયટીઓને જડબેસલાક બંધ કરી દેવાઈ છે. જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો પણ બંધ છે અને લોકોને ઘરની અંદર જ રહેવાની તાકીદ કરાઈ છે.
ટેનામેન્ટના 92 રહેવાસીઓને આઇસોલેટ કરાયા
આ મામલે વિવેકાનંદ ફ્લેટના 40 વર્ષીય પોઝિટિવ દર્દીનું કહેવું છે કે તેઓ પોઝિટિવ હોવા છતાં સ્વસ્થ છે પરંતુ તેઓ અને તેમના ભાઈ અને બહેન સૌ પોઝિટિવ છે. અહીં 60 ફ્લેટમાંથી ફક્ત 10 કે 12 જ પરિવારો રહે છે. અન્ય મૌલિક ટેનામેન્ટના 39 વર્ષીય દર્દી કહે છે તેઓ પોતાના દાદી માટે ફળો ખરીદવા સિવાય કશે બહાર જતા નથી. તેમને શંકા છે કે ફળો વેચનારથી જ તેમને સંક્રમણ થયું છે. આ ટેનામેન્ટના 92 રહેવાસીઓને આઇસોલેટ કરાયા છે.
ઘરની બહાર ન નીકળેલા લોકો પણ પોઝિટિવ
અનુપમ સોસાયટીના 38 વર્ષીય દર્દીનું કહેવું છે કે તેઓ ફક્ત કરિયાણું અને શાકભાજી ખરીદવા બહાર જતા હતા. હવે તેમને ભય છે કે તેમની સાથે હોમ ક્વોરેનટાઈનમાં રહેતા તેમના પત્ની અને 2 બાળકોને કોરોના ન થઇ જાય.
આ મુદ્દે જોધપુર કોર્પોરેટર ભાગ્યેશ પટેલનું કહેવું છે કે AMC રેન્ડમ ટેસ્ટિંગ ડ્રાઈવના ભાગ હેઠળ બે દિવસ પહેલા 300 લોકોનું ટેસ્ટિંગ કર્યું હતું. આ પૈકી 21 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને AMC ફરી એક વખત આ જ વિસ્તારમાં વધુ સઘન ટેસ્ટિંગ કરવાની યોજના બનાવી રહ્યું છે. પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ જણાવે છે કે ઘણા લોકો એવા છે જેઓ આ સ્થિતિમાં ઘરની બહાર પણ નહોતા નીકળ્યા પણ તેઓ કોરોના પોઝિટિવ થઇ ગયા છે.