રાજસ્થાનમાં એક ખેતરમાંથી 11 લોકોના મૃતદેહ મળ્યા છે. રાજસ્થાનના લોડત ગામના ખેતરમાંથી 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે આ હત્યા છે કે આત્મહત્યા તેને લઇ કોઇ પુષ્ટી નથી થઇ શકી. હાલ પોલીસ અને એફએસએલની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ આ તમામ મૃતદેહ પાકિસ્તાનના શરણાર્થીઓના છે.
જોધપુરના દેચુ પોલીસ સ્ટેશન વિસ્તારના લોટડા ગામે એક જ પરિવારના 11 લોકોના મોતની જાણ થતાં આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આસપાસના ગ્રામજનોએ પોલીસને આ ઘટના અંગેની જાણ કરી હતી.
જોધપુરના ખેતરમાંથી મળી 11 લાશ
પોલીસને બાતમી મળતાં ઘટના સ્થળે પહોંચી 11 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. તેમજ એક યુવાન ઘાયલ હાલતમાં જોવા મળ્યો હતો, જેને પોલીસે તેને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. મૃતકોમાં 2 પુરૂષો, 4 મહિલાઓ, 5 બાળકો નોંધાયેલા છે.
ઝેરી પદાર્થ ખાવાને કારણે મોત થયાં હોવાનું ખુલ્યું
પ્રાથમિક માહિતી મુજબ મૃતક પરિવાર પાકિસ્તાનના વિસ્થાપિત ભીલ સમુદાયનો છે અને થોડા સમય પહેલા આ બધા લોકો પાકિસ્તાનથી જોધપુર આવ્યા હતા. આ બધા લોકો ગામના ખેતરમાં ટ્યુબવેલ પર કામ કરતા હતા અને નજીકની ઝૂંપડીમાં રહેતા હતા. પ્રથમ દૃષ્ટિએ દરેકના મોત ઝેર ખાવાથી અથવા જંતુનાશક ખાવાથી કારણે છે.
હાલમાં, મોતનું કારણ જાણવા મળ્યું નથી. માહિતી મળતાં જોધપુર રૂરલ એસપી સહિત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને એફએસએલની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. જોધપુર રૂરલ એસપી રાહુલ બારહાતે આ ઘટનાની માહિતી આપી હતી.