દેશની સૌથી મોટી અને જાણીતી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જેએનુ) ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ હિંસા અને રાજનીતિના અખાડા માટે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલા અને તોડફોડની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. જેએનયુ આ અગાઉ ડાબેરી વિદ્યાર્થી સંગઠનો દ્વારા અફઝલ ગુરુ જેવા આતંકવાદીનો બચાવ કરવા માટે અને ભારતથી આઝાદીના નારા લગાવવા બદલ વિવાદમાં આવી હતી. જેએનયુ ડાબેરીઓ, નકસલીઓ અને દેશ વિરોધી તત્વોનો અડ્ડો બની ગઇ છે એવા આક્ષેપો પણ ઊઠતા રહે છે.
JNU ફરીવાર ચર્ચામાં
જેએનયુ શરૂઆતથી ડાબેરી વિચારધારાનો રહ્યો છે ગઢ
જેએનયુ એક શૈક્ષણિક સંસ્થા તરીકે બની કુખ્યાત
જોકે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં આવી હિંસા શરમજનક છે. દેશની રાજધાનીની એક પ્રખ્યાત યુનિવર્સિટીએ ભયાનક ગુંડાગીરી જોઇ તેનાથી વધુ ખરાબ કંઇ હોઇ શકે નહીં. દિલ્હી પોલીસે માસ્ક પહેરીને હિંસા આચરનારા લોકોને તાકીદે પકડીને તેમનો પર્દાફાશ કરવો જોઇએ તેમજ તેમના નેતાઓને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઇએ. જો હિંસા માટે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ યુનિવર્સિટી લોહિયાળ વિદ્યાર્થી રાજકારણનું કેન્દ્ર બની જશે.
જેએનયુ શરૂઆતથી ડાબેરી વિચારધારાનો રહ્યો છે ગઢ
જેના છાંટા દેશની અનેક યુનિવર્સિટીઓમાં ઊડશે. જેએનયુ શરૂઆતથી ડાબેરી વિચારધારાનો ગઢ રહ્યો છે, પરંતુ કેટલાક સમયથી વૈચારિક સ્વતંત્રતાના નામે અરાજકતા પોષવામાં આવી રહી છે. કેટલીકવાર એવું લાગે છે કે જેએનયુમાં તેમને વિશેષ સુરક્ષા મળે છે, જે ભારતીયતા, રાષ્ટ્રીયતા અંગે ગમે તેમ બાલી શકે છે.
આ વાત કોઈથી છુપી નથી કે જેએનયુમાં નક્સલવાદીઓની અને ક્યારેક આતંકવાદીઓના ગુણગાન ગાવામાં આવે છે. વૈચારિક સ્વતંત્રતાના નામે આવા આચરણનો બચાવ પણ કરવામાં આવે છે. ઘણા રાજકીય પક્ષો આ પ્રયાસમાં સામેલ છે કારણ કે તેનાથી તેમનું હિત સધાય છે. આ તે જ પક્ષો છે જેમણે જેએનયુમાં રજિસ્ટ્રેશન કામગીરી કેટલાક વિદ્યાર્થીઓએ હિંસા કરીને ખોરવી ત્યારે મૌન ધારણ કરી લીધું હતું. પરંતુ યુનિવર્સિટી કેમ્પસમાં હુમલો થતાં સીધો આક્ષેપ કર્યો કે આ સરકારના ઇશારે થયું છે. હિંસા માટે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી પર આક્ષેપ થઇ રહ્યા છે.
જેએનયુ ડાબેરી અને જમણેરી વિચારધારામાં વહેંચાઇ રહ્યું છે
સૌથી ગંભીર બાબત એ છે કે જેએનયુ ડાબેરી અને જમણેરી વિચારધારામાં વહેંચાઇ ગયું છે. વિચારધારાનો કોઇ વાંધો હોઇ શકે નહીં પરંતું આ વિચારધારાનો ટકરાવ ગંભીર સ્થિતિ સર્જી રહ્યો છે. ડાબેરીઓ તેમનું વર્ચસ્વ જાળવી રાખવા તો જમણેરી વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓ જેએનયુને તેમના રંગે રંગવા પ્રયાસ કરી રહ્યા છે.આ તમામ વિદ્યાર્થી સંગઠનોને રાજકીય પક્ષોનું પુરેપુરું સમર્થન છે. જેએનયુની હિંસામાં જે પણ સંગઠન હોય તેની સામે નિષ્પક્ષ કાર્યવાહી થાય તે જરુરી છે. હિંસામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને પણ ગુનો સાબિત થાય તો જેએનયુમાંથી તાકીદે રૂખસદ આપી દેવી પણ જરૂરી છે.જેથી ભવિષ્યમાં કોઇપણ વિદ્યાર્થી હિંસા આચરતા પહેલા સો વાર વિચાર કરે.
જેએનયુ એક શૈક્ષણિક સંસ્થા તરીકે બની કુખ્યાત
જેએનયુ એક શૈક્ષણિક સંસ્થા તરીકે કુખ્યાત બની રહી છે. કેન્દ્ર સરકાર માટે પણ જરૂર પડે નિયમોમાં ફેરફાર કરીને પણ શુદ્ધ દાનતથી હવે સાફસફાઇ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે આ સંસ્થા જે ઉદ્દેશો સાથે સ્થાપાઇ હતી તેનાથી દૂર જઈ રહી છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની સ્થાપના ૧૯૬૯માં થઈ હતી. જેએનયુ એક્ટ સંસદ દ્વારા રર ડિસેમ્બર ૧૯૬૬માં પસાર કરવામાં આવ્યો હતો. જેએનયુને જુલાઈ, ર૦૧રમાં હાથ ધરવામાં આવેલા એનએસીસીના સર્વેમાં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટી જાહેર કરવામાં આવી હતી. એનએસીસીએ યુનિવર્સિટીને ૪માંથી ૩.૯નો ગ્રેડ આપ્યો હતો. જેએનયુની પ્રગતિશીલ પરંપરા અને શૈક્ષણિક વાતાવરણ માટે વિદ્યાર્થી સંઘને ખૂબ મહત્વ આપવામાં આવે છે. અહીંના ઘણા વિદ્યાર્થી સંઘના સભ્યોએ ભારતીય રાજકારણ અને સામાજિક ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.