અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સંપૂર્ણ થઈ ગયેલ છે અને ટૂંક સમયમાં ચુકાદો આવે તેવી સંભાવના છે ત્યારે જમિયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ અરશદ મદની મુજબ બાબરી મસ્જિદ હતી અને ત્યાં કયામત સુધી મસ્જિદ જ રહેશે. જોકે મદનીએ વધુમાં કહ્યું કે અયોધ્યા-બાબરી વિવાદમાં સર્વોચ્ચ અદાલતનો જે ચુકાદો આવશે તે અમને માન્ય રહેશે.
મદનીએ કહ્યું 'હિંદુ પક્ષના કારણે નિષ્ફળ રહી મધ્યસ્થતા'
જોકે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને માન્ય રાખવાની કરી વાત
અમિત શાહ બંધારણ વિરુદ્ધ ચાલી રહ્યા છે : અરશદ મદની
'અમે તો રામ ચબુતરાનો સ્વીકાર કરવા તૈયાર હતા'
અરશદ મદનીએ કહ્યું કે મધ્યસ્થતા વખતે બંને પક્ષો પોતાની વાત પરથી હટ્યાં નહી જેથી આ પ્રક્રિયા વિફળ રહી હતી. તેમણે ખુલાસો કરતા કહ્યું કે અમે તો રામ ચબુતરાનો સ્વીકાર કરવા તૈયાર હતા ભલે વિવાદિત વકફ બોર્ડની જમીન પર રામ ચબુતરો, રામ ભંડારા અને સીતાનું રસોડું હોય. વધુમાં જણાવતા કહ્યું કે તે સર્વોચ્ચ અદાલત જેવી સંસ્થાઓનું સમ્માન કરે છે અને જે પણ ચુકાદો આવશે અમે તેને માન્ય રાખીશું.
શા માટે નિષ્ફળ રહી મધ્યસ્થતા ?
અરશદ મદનીએ કહ્યું કે હિંદુ પક્ષ પોતાના દાવાથી હટવા તૈયાર જ નહોતું. હિંદુ પક્ષ ગુંબજ પરથી પોતાનો દાવો પાછો લેવા તૈયાર થયું નહી જ્યાં મુસ્લિમો પૂજા કરતા હતા. અમે આ જગ્યા છોડી ન શકીએ કારણ કે આ જગ્યા પર મસ્જિદ હતી અને મસ્જિદની જમીન અમે છોડી દઈએ એવી અમને શરિયામાં પરવાનગી નથી.હિંદુ પક્ષ તેમના દાવા પર અડગ હતું જે બાદ અમારી પાસે કોઈ વિકલ્પ ન બચ્યો હવે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.
આપને જણાવી દઈએ કે અલ્પસંખ્યક મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનાં નિવાસસ્થાને મંગળવારે બેઠક થઈ હતી જેમાં મુસ્લિમ નેતાઓ, શિક્ષાવિદો, ધાર્મિક નેતાઓ અને આરએસએસ નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી.
ધર્મના આધારે નાગરિકતા આપવી એ ભારતના બંધારણ વિરુદ્ધ : મદની
આ સાથે મદનીએ કેન્દ્રિય ગૃહ મંત્રીના એનઆરસી મુદ્દે આપેલા એક નિવેદનને વખોડી નાખ્યો હતો. મદનીએ કહ્યું કે ધર્મના આધારે નાગરિકતા આપવી એ ભારતના બંધારણ વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રી અમિત શાહે નેતાજી ઇન્ડોર સ્ટેડીયમમાં એક ભાષણ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે દરેક હિંદુ, શીખ, જૈન બૌદ્ધ અને ખ્રિસ્તીઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે તમને કોઈને ભારત છોડવા મજબુર કરવામાં નહી આવે, કોઈએ અફ્વાઓ પર વિશ્વાસ કરવાની જરુર નથી. એનઆરસી પહેલાં અમે સીટીઝન બીલ લઈને આવીશું જેમાં આ બધાને નાગરિકતા આપવામાં આવશે. તેમને ભારતીય નાગરિકના બધા જ અધિકારો પણ આપીશું.
ગૃહમંત્રી અમિત શાહના આ નિવેદન પર જમિયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ અરશદ મદનીએ રોષ ઠાલવતાં કહ્યું કે દેશના ગૃહ મંત્રીએ આ પ્રકારના નિવેદન ન કરવા જોઈએ. તેમણે ભારતના બંધારણના શપથ લીધા છે અને હવે પોતે બંધારણ વિરુદ્ધ ચાલી રહ્યા છે.