દિલ્હીની તિહાર જેલમાં બંધ જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા યાસિન મલિકની તબિયતને લઇને તેના મોતની ફેલાયેલી અફવાને જેેલના ડાયરેકટર જનરલે રદિયો આપ્યો છે. તિહાર જેલના ડાયરેકટર જનરલે સંદીપ ગોયલે જણાવ્યું હતું કે અલગતાવાદી નેતા યાસિન મલિકને તબિયત સંપૂર્ણપણે સારી છે અને તેનાં સ્વાસ્થ્ય અંગે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તે તિહાર જેલમાં સંપૂર્ણપણે સ્વસ્થ છે.
બીજી બાજુ કાશ્મીર મામલે અફવાનોનું બજાર ગરમ રહ્યા બાદ તિહાર જેલ પ્રશાસનને નિવેદન જારી કરવું પડયું હતું. સોશિયલ મીડિયા પર જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ના પ્રમુખ યાસિન મલિકનાં મોતના સમાચાર વહેતા થયા હતા.
યાસિન મલિકની પાકિસ્તાની પત્નીએ પણ યાસિનનાં મોતના સમાચારને ટ્વિટ કરીને તેના સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માગી હતી અને ત્યાર બાદ અફવાઓનું બજાર ગરમ બન્યું હતું. જેલના સત્તાવાળાઓએ નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે યાસિન મલિકનાં મોતના સમાચાર સંપૂર્ણપણે અફવા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે અલગતાવાદી નેતા યાસિન મલિકની જેલમાંથી મુક્તિ કરવાની માગણીને લઇને તેના પરિવારજનો સડક પર ઊતરી આવ્યા હતા. શ્રીનગરની સડકો પર વિરોધ દેખાવો કરીને તેમના પરિવારજનોએ યાસિન મલિકની સ્થિતિ ખરાબ હોવાનું જણાવીને જેલ પ્રશાસન તેનો ઇલાજ કરાવતો નથી તેવો આક્ષેપ કર્યો હતો.
પરિવારજનોએ ટેરર ફંડિંગ, રૂબિયા સઇદનાં અપહરણ અને એરફોર્સના કર્મચારીઓ પર હુમલાના વિવિધ કેસોમાં તિહાર જેલમાં બંધ યાસિન મલિકને ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવાની માગણી કરી હતી.