જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ શ્રીનગરના સચિવાલયમાંથી રાજ્યનો ધ્વજ હટાવવામાં આવ્યો છે. હવે ત્યાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાઇ રહ્યો છે. ગયા અઠવાડિયા સુધી, બંને ધ્વજ એક સાથે લગાવવામાં આવ્યા હતા.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે તમામ સરકારી કચેરીઓ પર ત્રિરંગો લગાવાશે. સંસદે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી છે. આ અંતર્ગત રાજ્યને જે વિશેષાધિકારો અપાયા હતા તે નાબૂદ કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરનું પોતાનું બંધારણ, ધ્વજ અને દંડ સંહિતા છે. પરંતુ કલમ 370 ના હટાવ્યા બાદ હવે ભારતીય બંધારણ પણ ત્યાં લાગુ થશે. સરકારી મકાનો પર તિરંગો લહેરાવવામાં આવશે અને ભારતીય દંડ સંહિતાનું પાલન કરવામાં આવશે. અગાઉ, બહારના વ્યક્તિ દ્વારા જમીન ખરીદવા પર પ્રતિબંધ પણ હતો. આ જોગવાઈ પણ સમાપ્ત થઈ ગઈ છે.
વિધાનસભાનો કાર્યકાળ 6 નહીં પરંતુ 5 વર્ષનો
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધા છે. કલમ 370 ના હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરનું સ્વરૂપ સંપૂર્ણ બદલાઈ ગયું છે. વર્તમાન જમ્મુ-કાશ્મીર રાજ્યના રાજ્યપાલ હવે જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર રહેશે. વિધાનસભાનો કાર્યકાળ 6 નહીં પરંતુ 5 વર્ષનો રહેશે.
કલમ 370 હટાવવી પડકારરૂપ
કલમ 370 હટાવવી કેન્દ્ર સરકાર માટે એક પડકાર સમાન હતું. જો કે, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખતા ઘાટીમાં 35 હજારથી વધુ સુરક્ષા બળો ગોઠવવામાં આવ્યા છે. જો કે, કલમ 370 હટાવી લેવાયાના 3 અઠવાડીયા બાદ કેટલાક વિસ્તારોમાં કરફ્યુ ઓછો કરવામાં આવ્યો છે. લોકોની અવર જવર રસ્તાઓ પર પહેલાની જેમ શરૂ થઇ છે. વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજ જઇ રહ્યા છે અને સરકારી ઓફીસોમાં પણ કામકાજ ફરી શરૂ થયું છે.
કેન્દ્રશાસિત પ્રદેશ બનવાથી વિકાસ વધશે
જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાથી સાચો વિકાસ હવે જ થઇ શકશે તેવું દ્રઢ પણ બધાએ માનવું પડશે. લદ્દાખમાં બૌદ્ધ અને શિખની પણ વસ્તી છે અને તેઓની પણ ઘણાં સમયથી એક માંગ હતી કે લદ્દાખને યુનિયન ટેરેટરી જાહેર કરી દેવામાં આવે. તેમની માંગ પૂરી કરીને તેમને પણ લઘુમતીનો દરજ્જો પણ આપી દીધો.
જેથી કરીને સરકારી નોકરીઓમાં પણ તેમને લાભ થશે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનમંડળ રાખવામાં આવ્યું છે. પરંતુ તેઓ ઉપરાજ્યપાલની અંતર્ગત કામ કરશે. આથી હવે કેન્દ્રની તમામ સહાય સ્થાનિક નેતાઓના ઘરે કે તેમના કહેવા પ્રમાણે નહીં પરંતુ સીધી ઉપરાજયપાલના આદેશ અનુસાર લોકઉપયોગી યોજનામાં જશે. આ પગલું પણ લોકોના જીવનધોરણ ઊંચું લાવવામાં મદદ કરશે.
વૈશ્વિક રાજકારણમાં પડઘો પડ્યો
કોઇએ સાચું જ કહ્યું છે કે લોકશાહીમાં પણ દેશહિત માટે કઠોર નિર્ણય લેવાની પણ સરકારે મક્કમતા રાખવી જોઇએ અને મોદી સરકારે એ સાબિત કરી દીધું છે. આ નિર્ણયથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે. તેમ જ મધ્યસ્થતાની શેખી મારતા અમેરિકા જેવા દેશની પણ બોલતી બંધ થઇ ગઇ છે તો POK પણ હવે ભારતનો હિસ્સો ગણી શકાશે. જેથી આગામી સમયમાં ત્યાં પણ ભારત કબ્જો કરી શકશે અને આતંકવાદી પ્રવૃતિઓ પર પણ કાબુ મેળી શકાશે.