ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. 19 ડીસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી થવા જઈ રહી છે. સરકાર અને તંત્ર ઘણા ગામોમાં ચૂંટણી સમરસ થાય તે માટે પ્રયાસ કરી રહી છે. કેટલાય એવા ગામ છે જે સમરસ જાહેર થઈ ચૂક્યા છે. અને 7 ડિસેમ્બર ઉમેદવારી ફોર્મ પરત ખેચવાનો દિવસ છે. ત્યારે ગુજરાતમાં એવા કેટલાય ગામો છે જે ચૂંટણીનો બહિષ્કાર કરી રહયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના જીવા ગામે ગ્રામજનોએ પંચાયતની ચૂંટણી બહિષ્કાર કરી સરકાર તેમજ તંત્ર સામે બળાપો ઠાલવ્યો છે. તો રાજકોટ જેતપુરના મોણપર ગામ પણ એ જ રસ્તે છે.
પ્રાથમિક સુવિધાથી વંચિત જીવા ગામ
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધાના જીવા ગામના લોકોએ ચૂંટણીના બહિષ્કાર કર્યો છે. તેમજ આગામી ચૂંટણીમાં પણ કોઈ નેતા મત માગવા ન આવે તેવી ચીમકી ઉચ્ચારતા પોસ્ટર લગાવ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે પ્રાથમિક સુવિધાઓના અભાવ છે. ગામમાં રોડ-રસ્તા અને પાણી જેવી સુવિધા માટે ફાંફાં મારવા પડે છે. ઘણી રજૂઆતો કરી, કચેરી અને તાલુકા પંચાયતના ઘણા ધક્કા ખાધા પણ ન કોઈ સાંભળનારું છે, ન કોઈ સમસ્યાના ઉકેલ તરફ ધ્યાન દઈ રહ્યું છે. આથી ગામલોકોએ કંટાળી ન છૂટકે ગ્રામપંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
જેતપુરના મોણપર ગામમાં કોઈ સરપંચ બનવા તૈયાર નથી.
જેતપુરના મોણપર ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે. મોણપર ગામમાં સરપંચ બનવા માટે કોઇ વ્યક્તિ તૈયાર નથી. સરપંચના ઉમેદવાર તરીકે છેલ્લી તારીખ સુધી કોઈએ ફોર્મના ભર્યું. 8 સદસ્યોની ગ્રામપંચાયતમાં માત્ર 1 જ વ્યક્તિનું સદસ્ય તરીકે ફોર્મ ભર્યું. ગામમાં કોઈ વ્યક્તિ સદસ્ય અને સરપંચ બનવા તૈયાર નથી. મોણપર ગામમાં વિકાસ ન થવાને લઇ લોકોએ વિરોધ કર્યો છે. ગામની નદી છે તે પ્રદૂષિત થઇ ગઇ છે. રોડ રસ્તા અને સફાઈ કોઈ પ્રકારના કામો થતા નથી. ગ્રામજનોનો આરોપ છે કે અનેક રજૂઆત છતા કોઇ કામ નથી થતા. જેને લઇ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
ગ્રામપંચાયતની ચૂંટણીમાં કોઈએ સરપંચ કે સભ્યની ઉમેદવારી જ નથી નોંધાવી સાથે ગામના પાદર પર લોકોએ બેનરો લગાવીને સરકાર અને તંત્ર સુધી વાત પહોંચાડવા પોતાનો હક્ક જતો કર્યો છે.રાજ્યમાં કુલ 10,882 ગ્રામ પંચાયત માટે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ગામલોકોની ઉગ્ર માંગ છે કે તાત્કાલિકના ધોરણે જીવા ગામમાં પાયાની સુવિધા આપવામાં આવે. નહિતર વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની તૈયારી છે.