ગુજરાત સરકારે કોરોનામાં બંધ થયેલી યોજના કરી પુનઃ શરુ, શાળાના વિદ્યાર્થીઓને રાહતની લાગણી
મધ્યાહન ભોજન યોજનાની શરુઆત
જીતુવાઘાણીના હસ્તે યોજના પુનઃશરુ કરાઇ
શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવા માંગ
શાળામાં બાળકોના મધ્યાહન ભોજનને લઇને રાજ્ય સરકાર દ્વારા મહત્વની યોજનાનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી રાજ્યમાં મધ્યાહન ભોજન આપવાની યોજના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.
મધ્યાહન ભોજન યોજનાની શરુઆત
આજથી ગુજરાતની 8 મહાપાલિકા અને 2 નગરપાલિકામાં આ યોજનાની શરુઆત કરવામાં આવી છે.. ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામની પ્રાથમિક શાળામાં જીતુ વાઘાણીના હસ્તે પુનઃ મધ્યાહન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.. એટલે કે હવેથી શહેરની સરકારી શાળાઓમાં બાળકોને બપોરે ભોજન મળતુ થઇ જશે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, વડોદરા, ગાંધીનગર, નવસારી, સુરતમાં આજે મધ્યાહન યોજનાનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ ગુરુવારથી તમામ જિલ્લા અને તાલુકાઓમાં આ યોજના શરુ થઇ જશે.
જીતુવાઘાણીની અધિકારીઓને ગર્ભિત ચીમકી
મહત્વનુ છે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ ભોજનમાં ખામી હોવાની ઘટના અનેકવાર સામે આવી છે. ઘણી વખત આંગણવાડીઓમાંથી અખાદ્ય અનાજનો જથ્થો પણ મળી આવ્યો છે. ત્યારે આ વખતે આ યોજનાની પુનઃ શરુઆત થતાં જીતુ વાઘાણીએ ગર્ભિત રીતે જ અધિકારીઓને ધમકી આપી દીધી. તેઓએ જણાવ્યું કે બાળકોને આપવામાં આવતા ભોજનમાં કોઇ ત્રુટિ ન રહેવી જોઇએ. મધ્યાહન ભોજનમાં કોઇ ખામી ન રહે તેની ચિંતા અધિકારીઓ કરે. અને જે અધિકારી ચિંતા નહી કરે એની અમે ચિંતા કરીશું. મધ્યાહન ભોજન યોજનામાં નાની ક્ષતિ પણ સરકાર નહીં ચલાવે તેમ જીતુ વાઘાણીએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ હતું.
શ્રમિક અન્નપૂર્ણા યોજના ક્યારે થશે શરુ ?
તો આ તરફ શ્રમિક અન્નપૂર્ણા યોજના શરુ કરવાની માંગ ઉઠી છે. ગુજરાત સરકારે 18 જુલાઈ, 2017ના રોજ ગુજરાતના જે બાંધકામ શ્રમિકો તેમજ તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોના કડિયાનાકા પર કાઉન્ટર શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર દશ રૂપિયામાં ટિફિન ભરી આપવામાં આવતું હતું. પરંતુ કોરોનાને કારણે આ યોજના છેલ્લા બે વર્ષથી બંધ છે. ત્યારે આગામી સમયમાં સરકાર દ્વારા આ યોજના પુનઃ શરુ કરવામાં તેવી માગ છે.