કોરોના સંદર્ભે જોખમી 12 દેશોની યાદી જાહેર કરવામાં આવી, એરપોર્ટ પર આરોગ્ય વિભાગ ખડેપગે રખાયું
ઓમિક્રોનને લઈ સરકાર સતર્ક
રાજ્યના એરપોર્ટ પર ચેકિંગ
ન ડરવા રાજ્ય સરકારનું આશ્વાસન
કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી નિવેદન આપતા કહ્યું છે કે ઓમિક્રોન વેરીએન્ટ કેટલાક દેશોમાં દેખાયા છે પણ સારી વાત એ છે કે ભારતમાં હજુ એક પણ કેસ આવ્યો નથી કેન્દ્ર સરકાર આ વેરિયન્ટને ગંભીરતાથી લઈ રહી છે. તો રાજ્ય સરકાર પણ તમામ તકેદારી રાખી રહી છે. એરપોર્ટ પર તપાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે લોકોને સંબોધીને કહ્યું હતું કે આરોગ્ય વિભાગ સતર્ક છે, ગભરાવાની જરૂર નથી.
નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરના મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કેન્દ્રએ નિયમો બનાવ્યા છે. મુસાફરોનું આરોગ્યકર્મીની હાજરીમાં થર્મલ સ્ક્રિનિંગ ફરજિયાત કરવા આદેશ કરાયો છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો હશો તો મુસાફરોને આઈસોલેટ કરવામાં આવશે. આઈસોલેશન માટે જિલ્લા આરોગ્ય વિભાગને જવાબદારી આપી છે. મુસાફરો આઈસોલેશન માટે ખાનગી સુવિધાઓ મેળવી શકશે. મુસાફર કોરોનાગ્રસ્ત હશે તો નિયમ અનુસાર નોંધણી કરવા સુચન કરાયું છે.
આ દેશોથી આવતા પ્રવાસીઓ ખાસ ચેક કરાશે
કોરોના સંદર્ભે જોખમી 12 દેશોની યાદી જાહેર કરાઈ છે. જેમાં યુરોપિયન દેશો, સાઉથ આફ્રિકા, બ્રાજિલ, બાંગ્લાદેશનો સમાવેશ કરાયો છે...આ ઉપરાંત તમામ બહારથી આવતા મુસાફરોનો રિપોર્ટ કરવાનો રહેશે.દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, નેધરલેન્ડ, UK, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ, કેનેડા,હોંગકોંગ,ડેનમાર્ક,ઓસ્ટ્રિયા,ઇટલી,બેલ્જિયમ,Cz રિપબ્લિકન,જર્મની જેવા દેશોમાં ઓમિક્રોન વેરીયન્ટના કેસ નોંધાયા છે.
ગાઈડલાઇન પહેલા વિદેશથી આવેલા લોકોની શોધખોળ શરૂ
વિશ્વમાં ઓમીક્રોન વેરિઅન્ટની દહેશત જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં વિદેશથી 11 જેટલા લોકો રાજકોટ આવ્યા છે. રાજકોટનું વહીવટી તંત્ર 11 લોકોને શોધી રહ્યું છે. વિદેશી 9 જેટલા લોકો રાજકોટ શહેરમાં આવ્યા છે. તો 2 લોકો જીલ્લામાં આવ્યા છે. આ તમામ લોકોને શોધીને તાત્કાલિક તેમના ટેસ્ટ કરાવવા માટે તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.