ગુજરાત સરકારના કર્મચારીઓની પગારપંચ અને ભથ્થાંને લઈને તમામ માંગણીઓ, માસ CL-પેનડાઉન સહિતના સરકાર વિરોધી તમામ કાર્યક્રમો હવે સ્થગિત
ગુજરાતમાં સરકારી કર્મચારીઓના આંદોલનની આગ ઠરી
સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ
જૂની પેન્શન યોજનાને લગતી અમુક માંગણીઓ સ્વીકારી
15 માંગ પર મંડળો સાથે બેઠક કરી સહમતી સધાઈ
ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ સાથે આંદોલનના રસ્તે હતા. આવતીકાલે 6 લાખ જેટલા કર્મચારી માસ સીએલ પર ઉતરી જવાના હતા જે પહેલા સરકારે કર્મચારી મંડળો સાથે બેઠક કરી આંદોલનની આગ ઠારી દીધી છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ કરી કહ્યું છે કે સરકારી કર્મચારીની 15 માંગો પર નિર્ણય લેવામાં આવ્યો છે. જૂની પેન્શન યોજનાને લગતી અમુક માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. વર્ષ 2005 પહેલા ભરતી થયેલાને જૂની પેન્શન અને ભારત સરકારનો વર્ષ 2009નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સરકારે સ્વીકાર્યો છે.
શું હતી 15 માંગો?
જૂની પેન્શન યોજના
- કેન્દ્રનો 2009નો કુંટુંબ પેન્શનનો ઠરાવ
- કેન્દ્રના ધોરણે તા- 1/4/2005 પહેલા ભરતી થયેલ કર્મચારીઓને GPF અને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબત
જૂની પેન્શન યોજનામાં કુંટુંબ પેન્શનનો ઠરાવ સ્વીકાર્યો: જીતુ વાઘાણી
સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સંયુક્ત કર્મચારી મોરચા સાથેની બેઠક બાદ નિવેદન આપતા કહ્યું કે આવતીકાલથી 6 લાખ કર્મચારીઓ માસ CL પર જવાના હતા. અલગ અલગ સંવર્ગના પ્રશ્નો હતા તેના મુદ્દે સકારાત્મક ચર્ચા થઈ છે. કર્મચારીઓ પણ ભાજપનો પરિવાર છે માટે કોઇને મુશ્કેલી ન પડે તે સરકાર વિચારે છે. સતત સંવાદથી તમામ સમસ્યાનું નિરાકરણ આવે છે. કર્મચારીઓના પ્રશ્નોને લઇ અનેક બેઠકો થઇ છે. રાજ્ય સરકારે કર્મચારીઓને આંદોલન બંધ રાખવાની અપીલ કરી છે. જનતા હેરાન ન થાય તે માટે કર્મચારીઓ સહકાર આપશે. જૂની પેન્શન યોજનામાં કેન્દ્ર સરકારનો ઠરાવ છે. જૂની પેન્શન યોજનાની કેટલીક માંગણીઓને ગુજરાત સરકારે સ્વીકારી લીધી છે. સાતમા પગાર પંચના બાકી ભથ્થા ઝડપી ચુકવણી કરાશે કેન્દ્ર સરકારના ધોરણે તેનો લાભ આપવામાં આવશે. સોમવારથી કર્મચારીઓને કામે લાગવા માટે અપીલ કરી હતી, જૂની પેન્શન યોજનામાં કુંટુંબ પેન્શનનો ઠરાવ સ્વીકારવામાં આવ્યો છે.
કઈ કઈ માંગણી સ્વીકારાઈ
જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા
2005 પહેલા કર્મીને જૂની પેન્શન યોજનાનો લાભ
કુટુંબ પેન્શન યોજનાના ઠરાવને સ્વીકારાયો
તમામ કર્મચારીને 7માં પગાર પંચનો લાભ મળશે
રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી સળંગ ગણવી
મેડીકલ ભથ્થૂ 300 થી વધારી સાતમા પગાર પંચ મુજબ 1 હજાર અપાશે
અગાઉ કર્મચારીના મોતના કેસમાં 8 લાખની સહાય અપાતી હતી
45 વર્ષના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાશે
ખાતાકીય પરીક્ષામાં 5 વિષયને બદલે 3 વિષયની પરીક્ષા
અંગ્રેજી ભાષાનું પેપર રદ્દ કરવામાં આવ્યું
CCC પરીક્ષાની મુદ્દત વધારીને ડિસેમ્બર 2024 કરાઇ
જૂથ વિમા અંગેની નિર્ણય કરવામાં આવ્યો છે
અમારી મુખ્ય 15 માગણીઓ હતી જેમાં મોટાભાગની સરકારે સ્વીકારી: સંયુક્ત કર્મચારી મોરચો
સંયુક્ત કર્મચારી મોરચાના દિગુભા જાડેજાએ આ અંગે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમારી મુખ્ય 15 માગણીઓ હતી. સરકારે તમામ પગારપંચ, ભથ્થાની બાબતો સ્વીકારી છે. જૂથ વિમા અંગે નિર્ણય કરાયો છે. જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માગણી હતી. મેડિકલ ભથ્થુ 300ના બદલે 1000 આપવામાં આવશે. CCCની મુદત વધારો કરાયો છે. હવે ડિસેમ્બર 2024 સુધીમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. 7માં પગાર પંચના તમામ લાભ આપવામાં આવશે. ઉચ્ચતર પગાર ધોરણ અંગે નિર્ણય કરાયો છે.
કર્મચારીના મૃત્યુના કેસમાં અપાતી રકમમાં વધારી 14 લાખ થઈ: ભીખાભાઇ પટેલ
સરકારી કર્મચારીઓની માંગણીઓને લઇ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે કહ્યું કે જૂની પેન્શન યોજનાનો ઠરાવ અંગે સકારાત્મક નિર્ણય કરી કુટુંબ પેન્શન યોજનાના ઠરાવને સ્વીકારાયો છે. રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી સળંગ ગણાશે. તમામ કર્મચારીને 7માં પગાર પંચનો લાભ મળશે. મેડીકલ ભથ્થૂ 300 થી વધારી સાતમા પગાર પંચ મુજબ 1 હજાર અપાશે. કર્મચારીના મૃત્યુના કેસમાં અપાતી રકમમાં વધારી 14 લાખ કરાઇ છે.અગાઉ કર્મચારીના મોતના કેસમાં 8 લાખની સહાય અપાતી હતી. 45 વર્ષના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાશે. ખાતાકીય પરીક્ષામાં 5 વિષયને બદલે 3 વિષયની પરીક્ષા રહેશે. અંગ્રેજી ભાષાનું પેપર રદ્દ કરવામાં આવ્યું છે. CCC પરીક્ષાની મુદ્દત વધારીને ડિસેમ્બર 2024 કરાઇ છે. કર્મચારી જૂથ વિમા અંગેની નિર્ણય કરવામાં આવ્યો છે.
૭માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે આ તમામ લાભો કેન્દ્રના ધોરણે આપવામાં આવશે.
કેન્દ્રના ધોરણે તા.૧/૪/૨૦૦૫ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે. ઉપરાંત સી.પી.એફમાં ૧૦ ટકાને બદલે ૧૪ ટકા સરકાર દ્વારા ઉમેરવામાં અંગે પણ અતિ મહત્વપૂર્ણ કર્મચારીહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૦૯ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. રહેમરાહે નિમણૂક પામેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ ૧૦, ૨૦, ૩૦નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે.
કર્મચારીઓને રૂ.૩૦૦ ને બદલે રૂ.૧૦૦૦ મેડિકલ ભથ્થુ આપવામાં આવશે. જે સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉચ્ચક નાણાકીય સહાય રૂ.૮ લાખ અપાતી હતી તે વધારીને રૂ.૧૪ લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને બઢતી માટે આવશ્યક એવી પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં પણ વિશેષ રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં મુક્તિ માટે ૫૦ ટકા પરિણામે કર્મચારીને પાસ ગણવામાં આવશે તેમજ આ પરીક્ષામાં અંગ્રેજીનું પ્રશ્નપત્ર પણ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
કર્મચારીઓને નિવૃત્તિ સમયે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દર અને મુદતમાં ઘટાડા સાથે ૧૫ વર્ષના ૧૮૦ હપ્તાને બદલે ૧૩ વર્ષના ૧૫૬ હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પરિણામે પ્રત્યેક કર્મચારીઓને નિવૃત્તિ સમયે અંદાજિત રૂ.૬ લાખ જેટલો સંભવતઃ ફાયદો થશે. સીસીસી પરીક્ષાની મુદ્દત ડિસેમ્બર-૨૦૨૪ સુધી લંબાવવામાં આવશે. આ ઉપરાંત જૂથ વીમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવા ઉપરાંત તે પ્રમાણે વીમા કવચ પણ વધારવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
મહિલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે જે અંતર્ગત મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ ૧૮૦ દિવસ એટલે કે છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે.
વર્ષ ૨૦૦૬ પછીની ફિક્સ પગારની નીતિથી ભરતી થયેલા તમામ કર્મચારીને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તા.૧૮ જાન્યુઆરી ૨૦૧૭ના ઠરાવ મુજબ સળંગ ગણવા અંગેનો લાભ આપવામાં આવે છે. પરંતુ વર્ષ ૨૦૦૬ પહેલાના ફિક્સ પગારની નિતીમાં જેટલી કેડરનો સમાવેશ કરવામાં આવેલ છે તે તમામ કેડરને પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા તમામ સરકારી કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એડ શિક્ષકોને તા.૧લી એપ્રિલ ૨૦૧૯ની અસરથી સેવાઓ સળંગ ગણવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે આપવામાં આવશે. તા.૨૭ એપ્રિલ ૨૦૧૧ પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પુરા પગારમાં સમાવવામાં આવશે.
રાજય સરકાર દ્વારા લેવાયેલા આ કર્મચારી હિતલક્ષી નિર્ણયો માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુકત મોરચાના તમામ હોદ્દેદારોએ ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, હવે તેમણે આગામી કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.