દેશમાં કોલસાની અછતને કારણે વીજળીનું સંકટ સર્જાય તેવા સંજોગો પેદા થયા છે. અનેક રાજ્યોમાં અંધારપટનો ડર છે. કેટલાંક રાજ્યોઓએ તો પ્રજાને વીજળી ઉપકરણનો વપરાશ ઘટાડવાની અપીલ કરી છે. આ વચ્ચે ગુજરાત સરકારનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
વીજળીને લઇને મંત્રી જીતુ વાઘાણીનું આશ્વાસન
રાજ્યમાં ક્યાંય વીજકાપ નહીંઃ જીતુ વાઘાણી
કેન્દ્રના સતત સંપર્કમાં સરકારઃ જીતુ વાઘાણી
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોલસાની અછતને કારણે વીજ સંકટની સ્થિતિ સર્જાઇ છે. દેશમાં કોલસાની અછતને કારણે ઘણા રાજ્યોમાં હાહાકાર મચી ગયો છે. કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીએ પત્ર લખી અને કોલસાની અછત દૂર કરવા કહ્યું છે. રાજ્યોએ કેન્દ્રને વીજળી પૂરવઠો ન ખોરવાય તે માટે આયોજન કરવા કહ્યું હતું. તો કેન્દ્રએ કહ્યું હતું કે વીજળી સંકટની કોઈ ચિંતા નથી. તેવામાં હવે આ વીજ સંકટ અંગે રાજ્ય સરકાર શું કહે છે જાણો.
કોલસા તંગી અંગે ગુજરાત સરકારનું નિવેદન
ગુજરાતમાં વીજ સંકટને લઈને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં કોઈ વીજકાપ આપવામાં આવ્યો નથી. રાજ્ય સરકાર સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યને આશ્વાસન આપ્યું છે. હાલની સ્થિતિએ રાજ્યમાં ક્યાંય વીજકાપનું આયોજન નથી.
નેશનલ પાવર પોર્ટલ પ્રમાણે ભારતમાં તારીખ પ્રમાણે કોલસાની સ્થિતિ
20 સપ્ટેમ્બરના રોજ કોલસો ખાલી થયો હોય તેવા પાવર પ્લાન્ટની સંખ્યા 5 હતી. 27 સપ્ટેમ્બરે કોલસો ખાલી થયો હોય તેવા પાવર પ્લાન્ટની સંખ્યા વધીને 11 થઈ ગઈ. 3 ઓકટોબરે કોલસો ખાલી થયો હોય તેવા પાવર પ્લાન્ટની સંખ્યા 17 પહોંચી ગઈ.
આખરે કોલસાની અચાનક અછત કેમ સર્જાય?
તો હકીકત એવી છે કે કોરોના હળવો થતાં પ્રતિબંધો દૂર થયાં. આ સાથે જ આર્થિક ગતિવિધિએ જોર પકડ્યું. લોકડાઉનમાં બંધ કંપનીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કંપનીઓનું પ્રોડક્શન રાતોરાત વધી ગયું છે. આથી ફેક્ટરીઓનાં કોલસાની ખૂબ માંગ જોવા મળી રહી છે. તો બીજું કારણ એ પણ છે કે વિદેશોમાં કોલસાની કિંમત વધુ હોવાથી આયાતમાં ઓટ. આથી ઘરના કોલસા પર નિર્ભરતા વધી ગઈ છે. પહેલેથી જ લગભગ ત્રણ ચતુર્થાંશ કોલસો દેશની ખાણમાંથી પૂરો પડે છે. પરંતુ ચોમાસામાં ભારે વરસાદને કારણે કોલસા સપ્લાય પર ખરાબ અસર પડી.
ભારતમાં અંદાજે 72 ટકા વીજળીની માગ કોલસાથી પૂરી થાય છે. હાલ ભારતમાં કોલસાની અછત સર્જાતા વીજસંકટ સર્જાયું છે. દેશમાં કોલસાની અછતનું કારણ વપરાશ વધ્યો એ છે. ઓગસ્ટ 2021થી વીજળીની માગ વધતી જોવા મળી છે. ઓગસ્ટ 2021માં વીજળીનો વપરાશ 124 બિલિયન યુનિટ હતો. જ્યારે ઓગસ્ટ 2019માં એટલે કે કોરોના પહેલાં વપરાશ 106 BU હતો. આમ, વીજળીની માગમાં લગભગ 18-20 ટકાનો વધારો થયો છે.
સરકારી આંકડા પ્રમાણે કોલ પાવર પ્લાન્ટ પાસે કોલસાનો સ્ટોક સપ્ટેમ્બરના અંતમાં લગભગ 81 લાખ ટન રહ્યો હતો. જે સ્ટોક એક વર્ષ પહેલાં કરતાં 76 ટકા ઓછો છે.
સરકારનો દાવો છે કે કોલસાની સપ્લાઈમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે
તહેવારોની મોસમમાં વીજ સંકટ દેશની ઈકોનોમી માટે ખરાબ સમાચાર સમાન છે. કોરોનાના આંચકામાંથી બહાર આવી રહેલી ઈકોનોમીમાં ફરી થોડી સુસ્તી આવી શકે છે. વાસ્તવમાં વીજસંકટના કારણે ઈન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન, સપ્લાઈ, ડિલિવરી સહિત એ તમામ બાબતોને અસર થશે જે ઈકોનોમી માટે બૂસ્ટર ડોઝ હોય છે. તેની અસર પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે મોંઘવારી સ્વરૂપે થશે. જોકે, સરકારનો દાવો છે કે કોલસાની સપ્લાઈમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. વીજળી સંકટ હળવું બનશે. એટલે ચિંતા કરવા જેવું નથી.