ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મંગળવારે ગીરના જંગલમાં ગયા હોય તેની કેટલીક તસવીરો પોતાના ફેસબુક પેજ પર શેર કરી હતી. તેમણે શેર કરેલી તસવીરો વોટ્સએપ પર વાઈરલ થતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. જો કે હાલમાં સિંહનો સંવનન કાળ ચાલતો હોવાથી ગીર અભ્યારણ્ય બંધ રખાયું છે છતાં જીતુભાઈ જંગલમાં પહોંચ્યા કેવી રીતે.
વિવાદનો મધપૂડો છંછેડાયો
વાયરલ થયેલી તસવીરોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સીટ બેલ્ટ વગર જીપ્સી હંકારતા હોવાથી કાયદોનો ભંગ થયો છે કે નહીં તે પણ એક સવાલનો વિષય છે. જો કે, આ મામલે વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
જીતુ વાઘાણી ગીરમાં પહોંચ્યા કેવી રીતે ?
ઉલ્લેખનીય છે કે, ગીરમાં હાલ સિંહનો સંવનન સમય ચાલતો હોવાથી જનતાને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. છતાં ભાજપના નેતાની આ તસવીરો જોનારા મનમાં એક સવાલ જરૂર ઉભો થાય કે તેઓ ગીરમાં પહોંચ્યા કેવી રીતે.?
કોંગ્રેસના આક્ષેપ
વિવાદને પગલે કોંગ્રેસ પણ મેદાનમાં આવી હતી અને આરોપ લગાવ્યો હતો કે, 15 ઓક્ટોબર સુધી સાસણના જંગલોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. છતાં જીતુ વાઘાણી જંગલમાં ગયા. તો વીડિયોમાં વાઘાણી ટ્રાફિકના નિયમો તોડતા હોય તેવુ પણ નજરે ચઢે છે. વાઘાણી સીટબેલ્ટ વગર ડ્રાઇવિંગ કરી રહ્યા છે. એવો પણ આક્ષેપ છે કે જંગલમાં જીતુ વાઘાણીએ ફોટોગ્રાફી પણ કરી હતી.
જીતુ વાઘાણીના ખુલાસા
જો કે વાયરલ થયેલી આ તસવીરો મામલે જીતુ વાઘાણીએ પોતાના પરના આક્ષેપોને ફગાવ્યા છે અને કોંગ્રેસ તેમને બદનામ કરતી હોવાના આક્ષેપ કર્યા છે. નોંધનીય છે કે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવા કાયદા પ્રમાણે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવાની વાત કરી છે ત્યારે હવે જોવું જ રહ્યું કે, જીતુ વાઘાણી સામે કોઇ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.