જીતુ વાઘાણીએ કાર્યક્રમમાં મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, '2023માં ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી હશે. એટલે જાન્યુઆરીમાં LDના જલસાના કાર્યક્રમમાં પાછા આવીશું.' આજ રોજ ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં LD કોલેજનો કાર્યક્રમ યોજાયો.
Live: અમદાવાદ ખાતે એલ.ડી એન્જિનિયરિંગ કોલેજના સ્થાપના દિવસ અવસરે સમર્પણ કાર્યક્રમ. https://t.co/sv9BFrGCof
LD કોલેજની સ્થાપના દિનની ઉજવણી કાર્યક્રમમાં CM, જીતુ વાઘાણી અને મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યાં
તમને જણાવી દઇએ કે, આજ રોજ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ. ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશન હોલ ખાતે 75માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યાં હતાં.
2022-23ના વર્ષથી કોલેજમાં બે નવી ફેકલ્ટી શરૂ કરાશે
LD ઇજનેરી કોલેજના 75 વર્ષ ઉજવણી અવસરે રાજ્ય સરકારે કોલેજને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, '2022-23ના વર્ષથી કોલેજમાં બે નવી ફેકલ્ટી શરૂ કરાશે. રોબોટિક ઓટોમેશન અને આર્ટીફિશયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ નવી ફેકલ્ટી કાર્યરત થશે.' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ઇજનેરી શાખામાં ઉચ્ચ શોધ સંશોધનને વેગ આપવા આ કૉલેજની અદ્યતન લેબ માટેની અગાઉની રૂપિયા 10 કરોડની ગ્રાન્ટ પણ પુનઃજીવિત કરી આપવાનો નિર્ણય કર્યો છે.'
રાજકોટના એક કાર્યક્રમમાં પણ આપ્યું હતું મહત્વનું નિવેદન
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાનનું શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યાં તેઓએ અન્ય પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતાં. આ તકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીતના પક્ષો સામે મંત્રી વાઘાણીએ ચાબખા માર્યા હતા. તેઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, પહેલા રૂપિયાના જોરે સરકારી ભરતી થતી હતી હવે મેરીટના આધારે ભરતી થાય છે. વધુમાં જીતુ વાઘાણીએ AAP પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા આંબા-આંબલી બતાવી બધું મફત આપવાવાળા લોકો પણ આવશે પરંતુ લોકો લોભામણી જાહેરાતોથી પર રહેજો. વધુમાં જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, '2022ની ચૂંટણી એ 2024માં દિલ્હી જવા માટેનો રસ્તો છે.'