ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસમાં એક પછી એક દિગ્ગજ નેતાઓ અસંતોષના કારણે ભાજપમાં જોડાઇ રહ્યા છે. ધ્રાંગધ્રાના પૂર્વ MLA પરસોત્તમ સાબરિયા બાદ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે. ત્યારે આ મામલે જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ધારવિયા રાજીનામું આપીને પવિત્ર રીતે ભાજપમાં આવ્યા છે. ચૂંટણી સમયેસ્વભાવિક રીતે નેતાઓ નિર્ણય કરે છે. કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવી શકતી નથી. ભાજપના કાર્યકર્તાઓની ચિંતા કરવાનો કોંગ્રેસને અધિકાર નહીં. ભાજપમાં હું વલ્લભ ધારવિયાનુ સ્વાગત કરૂ છું. લોકશાહીનુ પર્વ આવી રહ્યુ છે. કોંગ્રેસના અનેક ધારાસભ્ય પદ્દ છોડીને ભાજપમાં આવે છે.
વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતની 26 બેઠકો પર ભાજપનો વિજય થશે. ભાજપની શક્તિમાં ઉમેરો થયો છે. જીતુ વાઘાણીએ કહ્યું કોણ છે હાર્દિક પટેલ?
વાઘાણીએ કહ્યું કે, મહેરબાની કરીને જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ ન કરો. કોંગ્રેસ હવામાં હળતીયા મારે છે. કોંગ્રેંસે ભાજપની ચિંતા કરવાની જરૂર નથી. કોંગ્રેસ ગુજરાતમાં કશુ કરી શકશે નહીં. અમે કોઇને તોડવાના પ્રયાસ નથી કરતા. લોકો પોતાની જાતે ભાજપમા જોડાઇ રહ્યા છે.
કમલમ ખાતે વલ્લભ ધારવિયાએ આપ્યું નિવેદન
ભાજપમાં જોડાયા બાદ વલ્લભ ધારવિયાના સુર બદલાયા હતા, વલ્લભ ધારવિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. ત્યારે ભાજપમાં જોડાયા બાદ વલ્લભ ધારવિયાએ નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસ લોકોનું ભલુ કરી શકશે તેમ મને ન લાગ્યુ, કોંગ્રેસ પાસે વિઝન જ નથી અને એક પરિવારવાદની પાર્ટી છે.
વધુમાં ધારવિયાએ કહ્યું કે, હું કોઇ લાલચમાં ભાજપમાં નથી જોડાયો. દેશ હીતને જોઇ ભાજપમાં જોડાયો છે. તો આ અંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસના અનેક ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવી રહ્યા છે. જેનાથી ભાજપની શક્તિમાં ઉમેરો થયો છે.
મહત્વનું છે કે CWCની બેઠક માટે દિલ્હીથી કોંગ્રેસના નેતાઓ ગુજરાત પહોંચી રહ્યા છે ત્યારે જ પક્ષને વધુ એક ઝટકો લાગ્યો છે. આ પહેલા ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા અને હવે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે.