અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી દસ દિવસની અંદર રાજીનામું આપી દેશે તે અંગેના હાર્દિક પટેલના નિવેદન અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી. જીતુ વઘાણીએ જણાવ્યું હતું કે માત્ર મીડિયામાં ચમકવા માટે આવા નિવેદનો કરવામાં આવે છે. ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં જ ભાજપની સરકાર ચાલશે.
સીએમ રૂપાણીના રાજીનામા અંગે હાર્દિક પટેલના નિવેદન પર જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કેટલાક લોકોને બંધારણની વ્યવસ્થાની પણ ખબર હોતી નથી. કેબિનેટની અંદર મુખ્યમંત્રી પણ હોય છે. તો કેબિનેટમાં રાજીનામું આપવાનું ન હોય. રાજીનામું કોને આપવાનું હોય? ત્યારે 10 દિવસ પછી રાજીનામું આપશે આવા વાહિયાત નિવેદનો આપે છે. જેમને વ્યવસ્થાની પણ જાણ નથી.
વધુમાં વાઘાણીએ કહ્યું કે હાર્દિકને જવાબ આપવો કે નહીં તે અસ્થાને લાગે છે. ભાજપ કોઇના બળ પર ચાલનારી પાર્ટી નથી. વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં સારૂ કામ થઇ રહ્યું છે. તેના જ નેતૃત્વમાં ભાજપની સરકાર ચાલશે.
મહત્વનું છે કે 24 અને 25 જૂને ભાજપની ચિંતન શિબિર યોજાશે. SGVP ગુરૂકુલ અમદાવાદ ખાતે ચિંતન શિબિર યોજાશે. આ ચિંતન શિબિરમાં અમિત શાહ ભૂપેન્દ્ર યાદવ હાજર રહેશે. 2019ના રોડમેપ બાબતે ચિંતન શિબિરમાં ચર્ચા થશે. ચૂંટણી સમિતિની બેઠક 17 અને 18 જૂને મળશે.