નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાઓ મુદ્દે જીતુ વાઘાણીએ જણાવ્યું કે આ કોંગ્રેસનો આંતરિક મામલો છે.
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે ?
જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા
'કોને ક્યાં જોડાવું અને ન જોડાવું એનો નિર્ણય પોતાનો હોય છે'
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો વધી રહ્યો છે તેમાં પણ ચૂંટણી નજીક આવતા સક્રિય થઇ ગયેલા હાર્દિક પટેલના નિવેદન બાદ તો રાજકારણમાં ભારે હલચલ જોવા મળી રહી છે. હાર્દિક પટેલે સુરતમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં નરેશભાઈના નેતૃત્વમાં અમે લડવા તૈયાર બેઠા છીએ. તેમજ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે ખુલ્લો પત્ર લખી આમંત્રણ પાઠવ્યુ હતું જે બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મામલે ભાજપના પ્રવક્તા જીતુવાઘાણીએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોને ક્યાં જોડાવું, ન જોડાવુ એ પોતાનો નિર્ણય છે. આ કોંગ્રેસનો આંતરિક મામલો છે.
ચૂંટણી આવે ત્યારે હાર્દિક પટેલને યુવાનો દેખાય છે- જીતુ વાઘાણી
ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણીએ હાર્દિક પટલને વળતો પ્રહાર કર્યો હતો. જીતુવાઘણીએ કહ્યું કે ચૂંટણી આવે ત્યારે જ હાર્દિક પટેલને યુવાનો દેખાય છે.? હવે યુવાનોને એકત્રિત કરવા અને આંદોલનની વાત કરે છે. કોંગ્રેસનો આંતરિક ડખો ખૂલીને બહાર આવી રહ્યો છે. આ ઉપરાંત એવો પણ આક્ષેપ લગાવ્યો કે વિધાનસભા ગૃહમાં અને બહાર કોંગ્રેસના અલગ ચહેરા છે.
સારા વ્યક્તિએ રાજકારણમાં આવવું જોઈએ- હાર્દિક પટેલ
નરેશ પટેલને રાજનીતિમાં જોડાવા આમંત્રણનો મામલે સુરતમાં કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે 30 વર્ષથી એક જ પાર્ટીનું શાસન છે. સારા વ્યક્તિએ રાજકારણમાં આવવું જોઈએ, કોંગ્રેસમાં નરેશભાઈના નેતૃત્વમાં કામ કરવા તૈયાર છે અને પાર્ટી જે કહેશે તો સીએમનો ચેહરો હશે, અને નરેશભાઈના નેતૃત્વમાં અમે લડવા તૈયાર બેઠા છીએ. હાલમાં ભાજપ સમાજ ને ગુમરાહ કરવાનું કામ કરે છે જેથી નરેશભાઈ રાજકારણમાં આવશે તો સૌ આવકારશે, જે કોઈ પાર્ટીમાં જોડાય તે નિર્ણયને સમાજ અને અમે બધા પણ આવકારીશું.
હાર્દિક પટેલ ના પત્ર બાબતે નરેશ પટેલનું નિવેદન
જો કે, હાર્દિક પટેલ ના પત્ર બાબતે નરેશ પટેલનું મોટું નિવેદન આપતાં જણાવ્યું કે, હાર્દિકે લખેલા પત્રની જાણ મને હજુ હમણાં જ થઈ છે. મેં પત્ર હમણાં જ વાંચ્યો છે. હાર્દિક સાથે વાત કરવાની બાકી પત્રનું માધ્યમ મને ખબર નથી. આ અંગે વાત થાય પછી જ કંઈ કહી શકાય. જો કે નરેશ પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહી બને. તેમણે તે પણ જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાવું તે મારો અંગત નિર્ણય હશે. અને યોગ્ય સમયે રાજકારણમાં જોડાવવા અંગે નિર્ણય કરીશું
હાર્દિક પટેલે પત્રમાં શું લખ્યું ?
હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે, નરેશ પટેલને પાટીદાર સમાજના માર્ગદર્શક બનીને રાજકારણમાં આવવું જરૂરી છે. હાલ પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે.હાર્દિકે જણાવ્યું હતું કે,રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઈ માટે શ્રીગણેશ કરવાનો સમય આવી ગયો છે. હાર્દિકે પત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક પક્ષનું શાસન છે.શાસક પક્ષની તાનાશાહીથી ગુજરાતીઓને અન્યાય થાય છે. પાટીદાર સમાજના યુવાનો પણ સરકારની તાનાશાહીનો ભોગ બન્યા છે. જેને લઈને ભાજપ સામે રાજકારણમાં ઉતરવા હાર્દિકે નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું.