ખેડૂત આંદોલન હવે ધીમે ધીમે ઉગ્ર બની રહ્યું છે જેમાં પંજાબમાં મોબાઈલ ટાવરમાં તોડફોડના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે જિયોએ પણ હવે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે.
પંજાબમાં 1500થી વધારે મોબાઈલ ટાવરને કરાયું નુકસાન
જિયોએ રાજ્યના સીએમ અને ડીજીપીને લખ્યો પત્ર
કોઈ સંપત્તિને નુકસાન સાંખી લેવાશે નહીં : સીએમ અમરિન્દર
સીએમ અને ડીજીપીને હસ્તક્ષેપ કરવા માંગ
ખેડૂત આંદોલનના કારણે પંજાબમાંઆ 1500થી વધારે જિયો ટાવરમાં તોડફોડ કરવામાં આવી છે જે બાદ જિયો કંપનીએ પંજાબના મુખ્યમંત્રી અને રાજ્યના ડીજીપીને પત્ર લખ્યો છે અને તેમાં અજ્ઞાત વ્યક્તિ દ્વારા પંજાબમાં જિયો નેટવર્કના સાઇટ પર તોડફોડની ઘટનામાં હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે.
ખેડૂતો કેમ તોડી રહ્યા છે ટાવર
નોંધનીય છે કે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે નવા કૃષિ કાયદાના કારણે મોટા મોટા ઉધ્યોગપતિ અને ખાસ કરીને મુકેશ અંબાણી તથા ગૌતમ અદાણીને ખૂબ ફાયદો થશે તેવી વાતો ખેડૂતોમાં વહેતી થઈ છે જેના કારણે મોટા મોટા બિઝનેસમેનની સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂત આંદોલનના કારણે રિલાયન્સની સંપત્તિઓને નિશાને લેવાઈ રહી છે અને ઘણા બધા ટાવર તથા પેટ્રોલ પંપ અને રિટેલ શોપને લઈને ચિંતા ઊભી થઈ છે જે બાદ હવે જિયો પણ હરકતમાં આવ્યું છે.
સુરક્ષા આપવા માંગ
વિવિધ અહેવાલો અનુસાર પંજાબમાં આશરે 1500 જેટલા ટાવરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને તેના કારણએ દૂરસંચાર સેવાઓમાં બાધા આવી રહી છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોશીએશન ઓફ ઈન્ડિયા તરફથી પણ રાજ્ય સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે કે ટાવરને સુરક્ષા આપવામાં આવે.
હિંસા સાંખી લેવાશે નહીં : સીએમ
નોંધનીય છે કે કેપ્ટન અમરિન્દર સિંહે પહેલાક કહ્યું હતું કે રાજ્યમાં કોઈ પણ શાંતિપૂર્ણ પ્રદર્શન અને આંદોલનને રોકવામાં આવશે નહીં પરંતુ કોઈ પણ પ્રકારની હિંસા કે સંપત્તિને નુકસાન કરવામાં આવશે તો તેને સાંખી લેવામાં આવશે નહીં. સીએમ દ્વારા આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે. સીએમ અમરિન્દર સિંહે એમ પણ કહ્યું કે જો આ રીતે સંચાર માધ્યમના સાધનોને તોડવામાં આવશે તો વિદ્યાર્થીઓ, બોર્ડની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ અને કોરોના મહામારી વચ્ચે ઘરેથી દૂર રહીને કામ કરી રહેલા લોકોને નુકસાન થશે. તેમણે એમ પણ કહ્યું કે બેન્કિંગ સેવાઓ પણ મોટે ભાગે ઓનલાઈન સેવાઓ પર આધારિત છે.