થોડાં દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટનો એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (એજીઆર) સંબંધી નિર્ણય સરકારના પક્ષમાં આવવાથી દેશની પ્રમુખ ટેલીકોમ કંપનીઓ વોડાફોન-આઈડિયાએ સંકેત આપ્યા છે કે કંપની આવનારા દિવસોમાં તેના રિચાર્જ પ્લાનના રેટ વધારવા અંગે વિચારી રહી છે. ટેલીકોમ કંપનીની જાહેરાત બાદ અન્ય દિગ્ગજ કંપની એરટેલએ પણ તેના ટેરિફ પ્લાનના રેટ વધારવાની જાહેરાત કરી છે. આ જ રીતે જિયો પણ માર્કેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે વિવિધ નવા પ્લાન લોન્ચ કરી શકે છે અને તે પણ ટેરિફ રેટમાં વધારો કરી શકે છે. સૂત્રો મુજબ, ત્રણેય ટેલિકોમ કંપનીઓ તેમના પ્લાન્સના રેટ વધારવા તૈયાર છે. જોકે, હાલ કંપની કેટલો રેટ વધારશે એ અંગે કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી. એવું કહેવાય છે કે ડિસેમ્બરથી ટેરિફ વધી શકે છે.
રિચાર્જ પ્લાનના રેટ વધારવા ચાલી રહી છે વિચારણા
નવા ટેરિફ રેટ ડિસેમ્બરથી વધી શકે છે
હાલના રેટ કરતા 20 ટકાનો વધારો થઈ શકે છે
એક રિપોર્ટ મુજબ, આઈડિયા-વોડાફોન અને જિયોના ભવિષ્યમાં તમામ રિચાર્જ પર હાલના રેટ કરતા 20 ટકાનો વધારો થઈ શકે છે. રિપોર્ટમાં પુષ્ટિ કરવામાં આવી છે કે બધાં જ રિચાર્જના રેટ વધવાની પૂરી શક્યતા છે. જોકે, રિચાર્જના રેટમાં વધારો જે-તે પ્લાન પર નિર્ભર કરશે. એવું કહેવાય છે કે મોંઘા રિચાર્જના રેટ વધારી કંપની વધુ ડેટા અને 20 ટકા વધુ મફત કોલની સુવિધા આપશે.
મોંઘા પ્લાન પર વધુ રેટ વધશે
વધુમાં રિપોર્ટમાં જણાવ્યું છે કે ટેલિકોમ કંપનીઓ તેના નફાના આધારે કિંમતોમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. એટલે કે, નાના પ્લાન પર ઓછો રેટ વધશે અને મોંઘા પ્લાન પર વધુ રેટ વધશે. જોકે, બધી ટેલીકોમ ઓપરેટર કંપનીઓના એકસમાન ભાવ વધારાની સંભાવના છે અને આ વધારો એવા લોકોને પ્રભાવિત કરી શકે છે જેઓ સામાન્ય રીતે ફોન બિલ પર 100 રૂપિયાથી ઓછો ખર્ચ કરે છે.