તબીબી ક્ષેત્રે થયેલાં સંશોધનોએ હવે અનેક નાઇલાજ બીમારીઓને સામાન્ય બનાવી દીધી છે. નવી નવી શોધ અને ઉપકરણોથી હવે ગંભીરમાં ગંભીર બીમારીનો ઇલાજ શક્ય બન્યો છે. એક જમાનામાં હજારો-લાખો લોકોનો એકસાથે ભોગ લેતી બીમારીઓ હવે ભૂતકાળ બની ગઇ છે. તબીબી ક્ષેત્રે દુનિયાભરના અનેક ડોક્ટર અને સંશોધકો આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવી નવી શોધ કરી રહ્યા છે, તેમાંથી કેટલીક શોધ અહીં રજૂ કરી છે, જેને માન્યતા પણ મળી ગઇ છે અને બહુ નજીકના ભવિષ્યમાં વિવિધ બીમારીમાં દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે એટલું જ નહીં, લાખો લોકોના જીવ પણ બચાવી શકાશે.
કૃત્રિમ પેનક્રિયાસઃ ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થઇ શકે તેવી આ નવી શોધને દુનિયાનું સૌપ્રથમ કૃત્રિમ પેનક્રિયાસ કહેવાય છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીએ આમ તો તેને ર૦૧૬માં માન્યતા આપી હતી, તેમાં ગ્લુકોઝ મોનિટરિંગ ડિવાઇસ અને ઇન્સ્યુલિન પમ્પ કોમ્યુનિકેશન કરીને લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે છે. આ જાણકારીના આધારે દર્દીએ ચોક્કસ સમયે કેટલું ઇન્સ્યુલિન લેવું તેની ખબર પડે છે. જે દર્દીમાં ગ્લુકોઝના લેવલમાં મોટી વધઘટ થતી હોય તેમના માટે તે અત્યંત ફાયદાકારક પુરવાર થશે.
ઊંઘની ગંભીર બીમારીઃ સ્લીપ એપનિયા એક ઊંઘની બીમારી છે, જેમાં નિદ્રાધીન વ્યકિતના શ્વાસોશ્વાસ ઝડપથી ચાલુ-બંધ થાય છે. રાતભર જોરદાર નસકોરાં બોલાવનારાને તેની સમસ્યા હોઇ શકે. આવા લોકોને બીપી-હૃદયરોગની સંભાવના વધી જાય છે. અમેરિકામાં બે કરોડથી વધુ લોકો તેનાથી પીડાય છે. આવા દર્દીઓની વહારે કિન્ટન્યૂઅસ પોઝિટિવ એર-વે પ્રેશર (સીપીએપી) ડિવાઇસ આવે છે. આ પેશમેકર જેવું કામ કરે છે, તેમાં બ્રીિધંગ સેન્સર અને સિમ્યુલેશન લીડ હોય છે, જે જીભની મૂવમેન્ટને કાબૂમાં કરીને ફેફસાંમાં જતી હવાનું પ્રમાણ જાળવે છે.
આંખની સારવારમાં જિન થેરાપીઃ દુનિયામાં લાખો લોકો આંખના પડદા એટલે કે રેટિનાની બીમારીથી પીડાય છે. જનીનની ખામીના કારણે રેટિનાના સેલ ધીમે ધીમે નાશ પામે છે, જેના કારણે આંશિક કે સંપૂર્ણ અંધાપો આવે છે. ર૧૦૭માં અમેરિકાએ તેના માટેની િજન થેરાપીને માન્યતા આપી છે. આ સારવાર જોકે હજુ જૂજ સેન્ટરમાં થાય છે, પરંતુ આગામી દિવસોમાં લાખો લોકોને તે અંધાપાથી બચાવશે તેવી આશા સેવાઇ રહી છે.
કોલેસ્ટ્રોલની સારવારઃ જેને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય છે તે લો ડેન્સિટી લીપો પ્રોટીન (એલડીએલ)થી કલોટ થતાં ધમનીઓ સાંકડી બને છે. દુનિયાભરમાં કરોડો લોકોને તેની સમસ્યા છે. હવે દવાના નવા કોમ્બિનેશનથી એલડીએલનું લેવલ ૭પ ટકા સુધી ઘટાડી શકાશે.એક અભ્યાસમાં જણાયું છે કે સ્ટાટીનને નવી દવાના કોમ્બિનેશન સાથે લેવામાં આવે તો હાર્ટએટેકથી થતાં મોતનું પ્રમાણ ર૦ ટકા સુધી ઘટી શકે છે.
નવી રસીની શોધઃ રોગના ચેપ સામે બચાવતી એક રસી બનાવવામાં વર્ષોનાં સંશોધન ઉપરાંત કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તાજેતરમાં ઇબોલા અને ઝીકા વાઈરસે તરખાટ મચાવ્યો હતો ત્યારે હવે નવી રસીની શોધ કરવી જરૂરી બની છે. હવે સંશોધકોએ એવી ટેકનિક વિકસાવી છે, જેનાથી રસી બનાવવાની, તેને સાચવવાની અને દૂર દૂરના વિસ્તારમાં પણ ઝડપથી પહોંચાડવાની કામગીરી ખાસ્સી ઝડપી બની જશે. વેકસિનને હવે સૂકવી તેમજ ફ્રીઝ કરીને પહોંચાડી શકાશે. બજારમાં ટૂંક સમયમાં ફ્લૂ માટેની બેન્ડેજ જેવા પેચ સ્વરૂપમાં રસી મળતી થઇ જશે.
કીમોથેરાપીઃ કેન્સરના દર્દીઓ માટે કીમોથેરાપી પીડાદાયક સારવાર હોય છે. ખાસ કરીને મહિલાઓમાં તેની સારવાર પછી વાળ ઝડવાથી તેની માનસિક અસર પણ પડે છે, જોકે હવે સ્કાલ્પ કૂલિંગથી તેને નિવારી શકાશે. કીમોથેરાપી આપ્યા પહેલાં અને આપ્યા બાદ માથાનું તાપમાન થોડા ડિગ્રી નીચે લઇ જવામાં આવે તો મહિલાઓના વાળ ઝડતા નથી અથવા તો બહુ ઓછા ઝડે છે.