કોર્ટે 3 માસની સજા સાથે રૂપિયા 1 હજારનો દંડ પણ ફટકાર્યો
મહેસાણામાં વર્ષ 2017માં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં પરવાનગી વિના આઝાદીકૂચ રેલી કાઢવામાં આવી હતી. જે મામલે વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 લોકોને મહેસાણા કોર્ટે 3 માસની સજા ફટકારી છે.
12 જુલાઈ 2017ના રોજ આઝાદી કૂચનું આયોજન કર્યું હતું
મહેસાણા કોર્ટે રેલી યોજીને જાહેરનામા ભંગના કેસમાં તમામે તમામ 10 લોકોને 3 માસની સજા અને રૂ. 1000નો દંડ ફટકાર્યો છે. તમને જણાવી દઇએ કે, 12 જુલાઈ 2017ના જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં ઉનાકાંડની વરસી નિમિત્તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ એક આઝાદી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આઝાદી કૂચમાં જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ રેલીમાં તમામ લોકોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. જો કે, હવે આ મામલે મહેસાણા કોર્ટે તાજેતરમાં મોટો ચુકાદો આપ્યો છે. જેમાં તમામ 10 લોકોને કોર્ટે 3 માસની સજા ફટકારી છે અને 1 હજારનો દંડ ફટકાર્યો છે.
આ મામલે NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે, 'અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ પરંતુ બીજેપીના રાજમાં જનતા માટે ન્યાય માંગવો પણ ગુનો છે. બીજેપી કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી નહી શકે. અમે જનતાના ન્યાય માટે હંમેશા લડતા રહીશું.'
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અન્ય 9 લોકો સામે જુલાઈ 2017માં પોલીસની મંજૂરી વિના રેલી યોજવા બદલ નોંધાયેલ ફરિયાદ કેસમાં મહેસાણાની મેજિસ્ટ્રિયલ કોર્ટ ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. મેવાણી સહિત NCP(રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા રેશ્મા પટેલ પણ આ કેસમાં આરોપી છે. ત્યારે આ તમામને 3 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.
જાણો શું હતી સમગ્ર ઘટના?
12 જુલાઈ, 2017ના રોજ ઉનાકાંડની પહેલી વરસી પર ધારાસભ્ય મેવાણી અને તેના 10 સહયોગીઓએ મહેસાણાથી બનાસકાંઠાના ધાનેરા સુધી "આઝાદી કૂચ"નું નેતૃત્વ કર્યું હતું. કનૈયા કુમાર અને રેશ્મા પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. જેને લઇને મહેસાણા પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ ગેરકાનૂની રીતે ભેગા થવાનો કેસ નોંધ્યો હતો કારણ કે તેમને માર્ચ યોજવાની પરવાનગી આપવામાં આવી ન હતી.