પાટીદાર સમાજ બાદ હવે દલિત સમાજ પણ મેદાને આવ્યો છે. 14 માંગણીઓ સંતોષવા Jignesh Mevani એ સરકારને ચીમકી આપી છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજ્યમાં આંદોલન તેજ
પાટીદાર બાદ હવે દલિત સમાજ પણ મેદાને આવ્યો
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે સરકાર સમક્ષ મૂકી 14 માંગો
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ આંદોલન તેજ થયા છે ત્યારે પાટીદાર સમાજ સામે થયેલા આંદોલન અંતર્ગત સરકાર દ્વારા કેસ પરત ખેંચવામાં આવી રહ્યાં છે. જ્યાર બાદ હવે દલિત સમાજ પણ મેદાને આવ્યો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે 14 એપ્રિલ 14 માંગો સાથે વધુ એક આંદોલનની શરૂઆત લલકાર રેલીથી કરી છે. દલિત સમાજ પર થયેલા અત્યાચારમાં થાનગઢ સંજય પ્રસાદ કમિટીનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરાઇ છે.
રાજ્યમાં સરકારી યોજનાનો લાભ 8 ટકા સુધી લઇ જવા માંગ
રાજ્યમાં સરકારી યોજનાનો લાભ 8 ટકા સુધી લઇ જવાની માંગ, દરેક વોર્ડમાં સરકારી અંગ્રેજી સ્કૂલ, દલિત સમાજ પર થયેલા કેસો પરત ખેંચવાની માંગ આમ અલગ-અલગ 14 માંગો સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ હાજરી આપી હતી અને સરકારને તમામ માંગ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે.
ભાજપની સરકારને ચેલેન્જ આપીએ છીએ કે....
જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, 'મનુષવૃત્તિને ખતમ કરીને ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે ભારત ભૂમિમાં આ દેશના તમામ ગરીબો, શોષિતો, વંચિતો કે કોઇ પણ જ્ઞાતિ કે ધર્મના હોય બધાને એક ધર્મનિરપેક્ષ સમાજવાદી લોકતંત્રની સ્થાપના માટે ગુજરાતનું, દેશનું અને દુનિયાનું સર્વશ્રેષ્ઠ એક બંધારણ આપ્યું. આ બંધારણે કેટલાંક મૂળભૂત અધિકારો આપ્યાં પણ આ કહેવાતા મનવાદીઓના RSSના શાસનમાં ફરી પણ આ દેશના દલિતો, આદિવાસીઓ, લઘુમતી વંચિતોને તેમના મૂળભૂત અધિકારો મળ્યા નથી. આ સમાજને સતત જાતિ અને ધર્મના નામે વહેંચવાની કોશિશ થઇ રહી છે. અને ગુજરાતની અંદર જે પ્રમાણે ઉનાકાંડ થયો, થાનગઢ હત્યાકાંડ થયો, ભાનુભાઇ વણકરે આત્મવિલોપન કર્યું, સફાઇ કામદારોએ ગટરમાં ઉતરીને સતત મરવું પડે, હજારો એકરો જમીનોના કબજા ના સોંપવામાં આવે જેવાં તમામ પ્રશ્નોને લઇને 131મી જન્મજયંતિ નિમિત્તે, 14મી એપ્રિલ નિમિત્તે 14 મુદ્દાઓ લઇને નવેસરથી માત્ર ઉજવણી નથી કરી રહ્યાં પરંતુ RSS અને ભાજપની સરકારને, મોદી અને પટેલ સાહેબની સરકારને ચેલેન્જ આપીએ છીએ કે જો અમારી 14 માંગણીઓ નહીં સંતોષાય તો ફરી એક વાર ઉનાકાંડ વખતે દલિતોએ પોતાની જે તાકાત અને એકતાનો પરિચય કરાવ્યો હતો એના એંધાણ ફરી કરવાના છીએ.'
જાણો આ રેલીમાં દલિત સમાજ દ્વારા સરકાર સમક્ષ કઇ-કઇ માંગ કરાઇ?
આંબેડકર જયંતિના દિવસે જ લલકાર રેલીનું આયોજન
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે સરકાર સમક્ષ 14 માંગો મૂકી
અનુસૂચિત સમાજ પર થયેલા કેસ પરત ખેંચવા માંગ
દરેક વોર્ડમાં સરકારી શાળામાં અંગ્રેજી શાળા રાખવા માંગ
દલિત સમાજ પર થયેલા અત્યાચારમાં થાનગઢ સંજયપ્રસાદ કમિટીનો રિપોર્ટ જાહેર કરવા માંગ
રાજ્યમાં સરકારી યોજનાનો લાભ 8 લાખ સુધી કરવા માંગ
રાજ્યમાં ફિક્સ પગાર પ્રથા બંધ કરવાની પણ દલિત સમાજ દ્વારા માંગ
બુધવારનાં રાજ્ય સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલ કેસ પરત ખેંચાયો હતો
અત્રે તમને જણાવી દઇએ કે, 'ગઇ કાલે જ પાટીદાર સમાજ માટે રાહતના સમાચાર સામે આવ્યા હતાં. જેમાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક કેસ પરત ખેંચવામાં આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલ કેસ પરત ખેંચાયો હતો. જે મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. સેશન્સ કોર્ટમાંથી કેસ પરત ખેંચવા માટે સરકારે અરજી કરી હતી. 7 લોકો વિરૂદ્ધ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવા મામલે કેસ નોંધાયો હતો.
તાજેતરમાં જ રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા 10 કેસ પરત ખેંચ્યા હતાં
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા પાટીદાર અનામત આંદોલન મામલે 10 કેસ પરત ખેંચ્યા હતાં. મહત્વનું છે કે, ગુજરાતમાં 2015 માં અનામત આંદોલન થયું હતું. એ દરમિયાન સમગ્ર રાજ્યમાં પાટીદાર યુવકો વિરૂદ્ધ અંદાજિત 537 જેટલાં કેસ દાખલ થયા હતાં. આ આંદોલન વખતે પબ્લિક પ્રોપર્ટીને પણ નુકસાન થયું હતું. એ સમયે અમદાવાદના નિકોલમાં પણ પાટીદાર આંદોલનની ભારે અસર જોવા મળી હતી. ત્યારે નિકોલ પોલીસ સ્ટેશનમાં પણ 7 પાટીદાર યુવકો વિરુદ્ધ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા બદલ કેસ દાખલ થયો હતો. ત્યારે આ કેસ હવે ગઇ કાલે બુધવારના રોજ પરત ખેંચવામાં આવ્યો હતો. ત્યારે હવે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે સરકાર સમક્ષ 14 માંગો મૂકી છે. જેમાં અનુસૂચિત સમાજ પર થયેલા કેસ પરત ખેંચવા માંગ કરાઇ રહી છે.