ચિંતા કરવા જેવુ નથી, પગમાં થોડી વધારે ઇજા છે. દોઢ મહિનો આરામ કરવાનું કીધુ છે :લોક ગાયક જિગ્નેશ બારોટ
લોકગાયક જિગ્નેશ કવિરાજની તબિયત સારી
કલાકારે લાઇવ થઇને ફેન્સ સાથે કરી વાત
1એપ્રિલે થયો હતો અકસ્માત
લોક ગાયક જિગ્નેશ બારોટ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું હતુ આ અંગે જિગ્નેશ બારોટ ફેન્સ સમક્ષ 13 દિવસ બાદ લાઇવ થયા હતા. અકસ્માત બાદ પ્રથમ વાર તેઓએ પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા જણાવ્યુ હતું કે હવે ચિંતા કરવા જેવુ નથી. પહેલા કરતા ઘણુ સારુ છે. તેઓએ લગભગ 4 મિનિટ સુધી સોશિયલ મીડિયા પર લાઇવ થઇને ફેન્સનો આભાર માન્યો હતો તેમજ પોતે જલ્દી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરવા પણ જણાવ્યુ હતું.
'ચિંતા કરવા જેવુ નથી'
જિગ્નેશ બારોટે ખાસ ચાહકો માટે સંદેશ આપતા જણાવ્યુ હતું કે મને પગ અને હાથમાં ફેક્ચર થયુ હતું, આ વાતને 13 દિવસ થઇ ગયા છે. અત્યારે મને ઘણું સારુ છે. તમારા બધાના આશીર્વાદથી હાલ મને સારુ છે. લગભગ દોઢ એક મહિનો આરામ કરવાનું કીધું છે. મારો મોબાઇલ ફોન હાલમાં મે બંધ કરી દીધો છે. માતાજીને મારા સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરજો. હું જલ્દી સાજો થઇ જાઉ. દોઢ મહિના પછી સ્ટેજ પ્રોગ્રામ, શૂટિંગ અને મનગમતા ગીતો લઇને હું પાછો આવીશ.
મહત્વનું છે કે એક એપ્રિલના રોજ લોકગાયક જિગ્નેશ બારોટ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. તેઓ બુલેટ પર શૂટિંગ કરી રહ્યા હતા કે અચાનક બુલેટ સ્લિપ ખાઇ ગયુ. તેઓની ઉપર બુલેટ પડતા હાથ અને પગમાં ફ્રેક્ચર થઇ ગયુ હતું. આ અંગે તેઓએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરતા જણાવ્યુ હતું.
ત્યારબાદ તેઓએ તેમના ખબર અંતર પૂછવા આવ્યા હોય તેવા વીડિયો પર તેઓએ શેર કર્યા હતા. મહત્વનુ છે કે જિગ્નેશ કવિરાજ લોકગાયક છે સાથે જ તેઓ ગુજરાતી ગીતો અને ફિલ્મોમાં અભિનય પણ કરતા જોવા મળે છે.