સૌરાષ્ટ્ર એટલે કે વનરાજોનું ઘર કહેવાય છે, એમાં પણ ગીર, સાસણ, ધારી, તાલાળા, જૂનાગઢ સહિત સિંહો સ્થાયી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહો હવે પોતાના ઘર છોડી શહેરોના ગ્રામ્ય વિસ્તાર તરફ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના થાણાગાલોલ, અમરાપર, ખારચિયા સહીત છેલ્લા 15 દિવસથી લટાર મારી રહ્યા છે.
છેલ્લા 15 દિવસથી જેતપુર તાલુકા ગામડામાં સિંહની રંજાડના સમાચાર આવતા રહે છે. ત્યારે આ વર્ષે પણ રવિ સીઝન શરૂ થતા જેતપુર તાલુકાના ગીરની નજીકના સીમાડાના ગામડામાં સિંહ આવી ચુક્યા છે. જેમાં થાણાગાલોળ, દેવકી ગાલોળ વગેરે ગામની સિમમાં 7 જેટલા સિંહે ધામ નાખ્યા છે. આસપાસના ગામડાના સિમ વિસ્તારમાં પડ્યા પાથર્યા રહે છે. અવારનવાર અહીં રાત્રીના સમય દરમિયાન ખેડૂતોના પશુઓનું મારણ અને શિકાર કરે છે. જેને લઈને આ વિસ્તારના 8 જેટલા ગામના ખેડૂતોમાં ભયનો માહોલ વ્યાપી ગયેલ છે.
સિંહે અહીં ધામ નાખતા ખેડૂતોને વાડી વિસ્તારમાં ખેતી કામ કરવા જવામાં ભય ફેલાઈ ગયો છે. ખેડૂતો પોતાના ખેતરે ખેતી કરવા જઇ શકતા નથી. રવિ સીઝન હોવાથી ખેડૂતો રાત્રી દરમિયાન ખેતરમાં પિયત પણ નથી કરી શકતા. આ ભયના માહોલ વચ્ચે હેરાન થઇ રહેલ ખેડૂતોએ આજે જેતપુર મામલતદારને આવેદન આપ્યું હતું. આ બાબતે તાત્કાલિક ધોરણે વનવિભાગ પગલાં લે તેવી રજૂઆત કરાઇ હતી. અહીં આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવે અને તે નક્કર પગલાં લે તેવી માગ કરી હતી.