અહીં જે પણ લોકો આવશે તે કંઈક સારી વસ્તુ લઈને જશે: દિલીપ જોષી
પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ અમદાવાદના ઓગણજ ખાતે ઉડવાઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સ સિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ પ્રમુખસ્વામી નગર ઊભું કરવામાં આવ્યું છે. ગત 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરાયું છે. પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ દ્વારા મહોત્સવની શરૂઆત કરી છે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં. જેના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
પ્રમુખસ્વામી નગરની મુલાકાતે જેઠાલાલ
અમદાવાદના આંગણે ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને નિહાળવો એ પોતાનામાં જ એક લ્હાવો છે અને એટલા માટે જ રાજનેતાઓથી લઈને અભિનેતાઓ, બિઝનેસમેન અને નામી અનામી ઘણા કલાકારો આ મહોત્સવને નિહાળવા માટે આવી રહ્યા છે. પ્રમુખ સ્વામી નગરમાં મુલાકાત લેનારા હરિભક્તોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં રહેલા વિવિધ ભવ્યાતિ ભવ્ય આકર્ષણો તમામ હરિભક્તોને આકર્ષી રહ્યા છે. ત્યારે આજે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના દિલીપ જોષીએ પ્રમુખસ્વામી નગરની મુલાકાત લીધી હતી. પ્રમુખસ્વામી મહારાજના પ્રસંગને યાદ કરી તેઓ ગળગળા થઈ ગયા હતા.
ગળગળા થઈ ગયા 'જેઠા લાલ'
આ તકે દિલીપ જોષીએ જણાવ્યું હતું કે, 600 એકરમાં અદભુત સુંદર નગર તમામ સંતો અને હરીભક્તોએ ભેગામળીને બનાવ્યું છે. અહીં યોજાનારા એક-એક શૉ અકલ્પનીય છે. બાપાના પ્રસંગો છે તે જોઈને ખરેખર એવું થાય કે બાપામાં કેટલી કરૂણા હતી. બાપાના હ્રદયમાં નાનામાં નાના માણસ માટે કેટલી બધી કરૂણા હતી. ખેડૂતો, આદિવાસીઓના બાળકોના ભણતર માટે તેમણે કેટલા બધા પ્રયત્નો કર્યા. ખરેખર મને એવું લાગે છે કે અહીંયા જે કોઈ આવશે તેઓ કંઈકને કંઈક શીખીને જશે.