ટેલિવિઝન જગતની સૌથી પોપ્યુલર કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અત્યારે ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. શોમાં અત્યાર સુધી દેખાડવામાં આવ્યું છે કે, ગોકુલધામવાસી પોતાની માતૃભાષામાં વાત કરે છે. એવામાં બધાંને એકબીજાને સમજવામાં ઘણી જ મુશ્કેલી થાય છે. જોકે, આ વાતથી અજાણ જેઠાલાલના બાપુજી ચંપકલાલ મંદિરમાં દર્શન કરીને પાછા ફરે છે ત્યારે તારક મહેતા અને ડોક્ટર હાથી તેમને આ બબાલ વિશે જણાવે છે. જે બાદ એ બંને બાપુજીને આ સમસ્યાનું નિવારણ શોધવાનું કહે છે. પછી બાપુજી બધાં જ ગોકુલધામવાસીઓને એકસાથે બહાર બોલાવે છે અને બધું પૂછે છે.
તારક મહેતામાં ચાલી રહ્યો છે હંગામો
ગોકુલધામવાસીઓએ શરૂ કરી માતૃભાષાની જંગ
ચંપક ચાચા સામે થઈ રજૂઆત
જોકે, કોઈપણ ચંપક ચાચાના સવાલનો જવાબ આપતા નથી. જે બાદ જેઠાલાલ કહે છે કે, બાપુજી કોઈ કંઈ નહીં બોલે કારણ કે, ભૂલ આ લોકોની જ છે. એ પછી ભિડે મરાઠીમાં કહે છે કે, હું ચુપ છું એનો મતલબ એ નથી કે, તૂ કંઈપણ કહી શકે છે. એ પછી અય્યર ગોકુલધામમાં માતૃભાષાને લઈને શરૂ થયેલી માથાકૂટ માટે જેઠાલાલને જવાબદાર ઠેરવે છે. જે પછી ફરી બધાં જ ગોકુલધામવાસી ફરી ઝઘડવા લાગે છે. હવે આગામી એપિસોડમાં જોવાની મજા આવશે કે ચંપકલાલ આ મામલો શાંત કરી શકશે કે નહીં.
શોમાં જે કંઈપણ થશે, તેનાથી દર્શકોને તો મજા જ પડવાની છે. આ પહેલાં ગોકુલધામમાં આ ઝઘડાની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે ભિડેને પોતાની ભાષામાં સુવિચાર લખવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ બધાંની વચ્ચે હંગામો શરૂ થઈ ગયો હતો. વાત એટલી વધી ગઈ કે, જેઠાલાલ દ્વારા યોજેલી ઉંબાડિયું પાર્ટી પણ કેન્સલ કરવી પડી.
જે પછી બધાંએ નિર્ણય લીધો હતો કે, બધાં જ પોતાની માતૃભાષામાં જ વાત કરશે. આ જ કારણથી અય્યર તમિલમાં વાત કરે છે, સોઢી પંજાબીમાં વાત કરે છે, તો જેઠાલાલ અને ભિડે ગુજરાતી અને મરાઠીમાં વાત કરે છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગોકુલધામની મહિલા મંડળી પણ આ વાતના સમર્થનમાં જોડાઈ ગઈ અને પોતાની માતૃભાષામાં વાત કરવાનું શરૂ કરી દીધું.