જેટ એરવેઝને લોન આપનાર બેન્કોએ સંભવિત રોકાણકારોને કંપનીમાં ૩૧.૪-૭૫ ટકા સુધી હિસ્સો આપવાની ઓફર કરી છે, પરંતુ નાણાકીય સંકટમાં ફસાયેલ જેટ એરવેઝની બિડિંગ પ્રક્રિયાના પ્રથમ દિવસે એક પણ રોકાણકાર તરફથી કોઇ બિડ મળી નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે સંભવિત રોકાણકારો તરફથી કોઇ ક્વેરી પણ કરવામાં આવી નથી. રોકાણકારો જેટ માટે ૧૦ એપ્રિલે સાંજે ૬ વાગ્યા સુધી એક્સ્પ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે કંપનીમાં રસ છે એવો પત્ર આપી શકે છે.
જેટને લોન આપનાર બેન્કોએ એસબીઆઇના નેતૃત્વમાં આ માટે પ્રાઇવેટ ઇક્વિટી ફંડ ટીપીજી, ભારત સરકારના રોકાણ ધરાવતા નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એનઆઇઆઇએફ), અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સ સાથે ટાટા અને અદાણી જેવાં બિઝનેસ ગ્રૂપનો સંપર્ક કર્યો છે.
બેન્કોને આગામી બે દિવસમાં ઇન્વેસ્ટર્સ તરફથી પ્રતિસાદ મળવાની આશા છે. જેટનો કેટલો સ્ટેક વેચવો તે હવે આરબીઆઇ નક્કી કરશે. બેન્કોએ કંપનીને જે લોન આપી છે તેના સપ્રમાણમાં સ્ટેકને શેરમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આરબીઆઇ આપશે.