દેવામાં ડૂબેલી જેટ એરવેઝની ફ્લાઈટ રદ્દ થતાં ભારતના 22 જેટલા વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડમાં અટવાયા છે. આ તમામ વિદ્યાર્થીઓ શાળાના પ્રવાસે ગયા છે. જેમાં વડોદરાનો એક વિદ્યાર્થી રોનક સોલંકી પણ સામેલ છે.
મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક પ્રશાસન તરફથી પણ વિદ્યાર્થીઓને સહકાર કે મદદ મળી નથી. જેને લઈને પરિવારજનોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. બીજી તરફ જેટ એરવેઝના અધિકારીઓએ પણ ઉંચા હાથ કરી લીધા છે. ટેકનિકલ ખામીના કારણે, ફ્લાઈટ રદ્દ થઈ હોવાનું રટણ રટી રહ્યા છે. તો ફ્લાટ રદ્દ થતા મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલી જેટ એરવેઝની ઉડાન બુધવારથી બંધ થઈ છે. જેટ એરવેઝની સેવા હવે બંધ કરવામાં આવી છે. જેટ એરવેઝે છેલ્લી ઉડાન અમૃતસરથી મુંબઈ માટે ભરી હતી.
જેટનું કહેવું છે કે, હાલ ઉડાન અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. હવે ઉડાન ક્યારે શરૂ થશે એ હરાજી બાદ જ સામે આવશે. તો હરાજીમાં ભાગ લેવા ઈચ્છતી કંપનીઓને પણ 10 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પહેલા જેટે કહ્યું હતુ કે, બેંકોએ રૂપિયા 400 કરોડનો ઈમરજન્સી ફંડ આપવાથી ઈનકાર કર્યો છે.