છેલ્લા કેટલાંક સમયથી કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટનો અંત આવી ગયો હતો. જેમાં કુમારસ્વામીની સરકાર પડી ગઇ અને ભાજપના યેદિયુરપ્પા રાજ્યના નવા મુખ્યમંત્રી બની ગયાં. સોમવારે યેદિયુરપ્પાનો ફલોર ટેસ્ટ યોજાશે. જો કે હવે કર્ણાટકમાં એચડી કુમારસ્વાની પાર્ટીમાંથી જ વિરોધી પક્ષ ભાજપને સમર્થન આપવાનો અવાજ ઉઠવા માંડ્યો છે.
કુમારસ્વામીની પાર્ટી જનતા દલ(સેક્યૂલર)ના ધારાસભ્યોએ તેમને ભાજપ સરકારને આવનારા ત્રણ વર્ષ સુધી સુરક્ષિત રાખવા માટે ભાજપની સરકારને સમર્થન કરવાની માંગ કરી છે. ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને જણાવ્યું છે કે સમર્થન સરકારમાં સામેલ થઇને અથવા બહારથી સમર્થન આપી શકાય.
જો કે પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ આ અંગે વિચાર કરવા થોડો સમય માંગ્યો છે. જો કે ધારાસભ્યોએ કહ્યું છે કે કુમારસ્વામી જે પણ નિર્ણય લેશે તે અમને માન્ય છે. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં ધારાસભ્યોના એક જૂથે કહ્યું હતું કે તેઓ વિપક્ષમાં બેસી શકે છે અને ભાજપના સારા પ્રસ્તાવનું સ્વાગત કરશે.
જો કે ત્યારબાદ ધારાસભ્યોએ ચર્ચા કર્યા બાદ જણાવ્યું કે ભાજપને સમર્થન કરવુ અને સરકારને બચાવવી તે સારું છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસ સુધી ચાલેલા નાટક બાદ જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર વિધાનસભામાં વિશ્વાસમત મેળવી શકી નહોતી.
કોંગ્રેસના 13 અને જેડીએસના ત્રણ ધારાસભ્યોએ જુલાઇ મહીનાના શરૂઆતથી વિધાનસભાના સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેના કારણે કુમારસ્વામીની સરકારે બહુમત ગુમાવી દીધો હતો.
કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ દ્વારા ધારાસભ્યોના રાજીનામાં સ્વીકાર ન કરવા પર આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને અંતે કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. પરંતુ વિધાનસભામાં બહુમત સાબિત ન કરી શકતાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું.