ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખીને રાજકોટ પોલીસ કમિશનર સામે મોટા આરોપો લગાવ્યા છે. ડૂબેલા નાણાની વસૂલાતમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ કમિશન લેતા હોવાનો આરોપ લગાવ્યો છે. જે માટે જોઇન્ટ પોલીસ કમિશનરે અહેમદ ખુર્શીદે પ્રેસકોન્ફરન્સ સંબોધીને પોતાની પ્રતિક્રિયા આપી.
કમિશ્નર સામે ACP તપાસ કરશે-JCP
સમગ્ર મામલે જોઇન્ટ પોલીસ કમિશનરે જણાવ્યુ હતુ કે ધારાસભ્ય ગોવિંદ પટેલની ફરિયાદ મામલે તપાસ કરવાની હું ખાતરી આપુ છું. ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે. પહેલા અમે સમગ્ર ફરિયાદને વેરિફાય કરાવીશું. ત્યારબાદ તપાસમાં તથ્ય બહાર આવશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે. આ મામલે રાજકોટ કમિશનર સામે એસીપી તપાસ કરશે તેમ પણ જણાવ્યુ હતું.
ગૃહથી હજુ સુધી કોઈ સૂચના આવી નથી-JCP
આ મામલે વધુમાં JCP એ જણાવ્યુ હતું કે પોલીસ કમિશનર ક્યાં છે તે મને ખબર નથી. પી.આઇ વી.કે. ગઢવી મને મળવા આવ્યા હતા. મે તેમની વાત સાંભળી હવે આ મામલે ACP તપાસ કરશે. અમને ગૃહમાંથી તપાસ સોંપવામાં આવી નથી. અમારા લેવલથી જ તપાસ કરવા આદેશ કર્યા છે. સાંસદ રામ મોકરીયાની રજૂઆત મળશે તો તપાસ કરશું તેમ પણ જણાવ્યુ હતું.
'CPએ ઉઘરાણીના 15 % ટકા કમિશનની કરી માગ કરી'
રાજકોટના મહેશ સખીયાના ભાઈ જગજીવન સખીયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા નિવેદન આપ્યું હતું કે, છેતરપિંડી અંગેની ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસ કમિશનરે ઉઘરાણીના 15 % ટકા કમિશનની કરી માગ કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, પહેલા તો પોલીસ અધિકારી દ્વારા રિકવરી માટે 30 ટકા કમિશન સાહેબ માગતા હોવાનું PI ગઢવી દ્વારા અમને કહેવામાં આવ્યું હતું, જો કે, ચર્ચાને અંતે 15 ટકા રકમ નક્કી કરવામાં આવી હતી અને આમ અમારી પાસેથી 75 લાખ રૂપિયાની ઉઘરાણી રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એ હવાલા બ્રાન્ચ છે : જગજીવન સખીયા
આ સાથે જ જગજીવન સખીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એ હવાલા બ્રાન્ચ છે. આ રિકવરી માટે PSI સાખરા નામના વ્યક્તિને વચ્ચે રાખવામાં આવ્યો હતો અને અમારી ફરિયાદ પણ લેવામાં નહોંતી આવી. ત્યારબાદ સમગ્ર મામલે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કર્યા બાદ તેમના દ્વારા રાજકોટ પોલીસ પર પ્રેશર લાવવામાં આવ્યું અને ફરિયાદ નોંધી હતી.
રાજકોટના ધારાસભ્યએ ફોડ્યો લૅટર બોમ્બ
હર્ષ સંઘવીને લખેલા પત્રમાં ગોવિંદ પટેલે પત્રમાં એવો આરો લગાવ્યો છે કે પોલીસ ગુંડા મવાલીને જેમ ઉઘરાણી કરે છે. સામેની પાર્ટી ઉઘરાણી ન આપે તો હવાલા લેવાય છે. સાથે તેઓએ આવા અનેક કિસ્સાઓ થયા હોવાનુ પણ કહ્યુ જેમાંથી એક કિસ્સા વિશે વાત કરતા જણાવ્યુ હતું કે રાજકોટના મહેશ સખીયા સાથે આઠ માસ પહેલા 15 કરોડનું ચીટીંગ થયું હતું. પરંતુ પોલીસે આ મામલે FIR નહોતી ફાડી. પોલીસે ઉઘરાણીના રુપિયામાં 15 ટકા હિસ્સો માગ્યો હતો. ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરીને 7 કરોડ પરત અપાવ્યા હતા.