આજે રાજકોટ ખાતે જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે. ત્યારે હવે નરેશ પટેલ અંગે જયેશ રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે.
પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં લેઉવા પટેલ સમાજની બેઠક
ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલ પણ આ બેઠકમાં આપશે હાજરી
રાજકારણની નહીં થાય ચર્ચાઃ રાદડિયા
ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાતના રાજકીય વાતાવરણમાં તેની જોરશોરથી તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ હાલમાં ચર્ચા પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને લઈને ખુબ ચાલી રહી છે. કે નરેશ પટેલ કોના? ભાજપના, કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના. તેવામાં નરેશ પટેલ ક્યા રાજકીય પક્ષની નૈયા પાર લગાડશે તેને લઈને પણ સંકેતો મળવા લાગ્યા છે. પણ ન તો નરેશ પટેલ આ મુદ્દે કોઈ કોઈ ફોળ પાડી રહ્યા છે ન કોઈ પક્ષની તરફેણ કરી રહ્યા છે બસ સમાજનું નામ આગળ ધરી પોતાની રાજકીય હિત સાધવા હાલ તો સોગઠા ગોઠવી રહ્યા છે એમ લાગી રહ્યું છે. આ વચ્ચે આજ રોજ(19 માર્ચ 2022) રાજકોટમાં 2 વર્ષ બાદ લેઉવા પટેલ સમાજની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠક પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં યોજાશે અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સહિત ટ્રસ્ટીઓ હાજર રહેશે. આ બેઠકમાં નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે પણ ચર્ચા થવાની સંભવના વચ્ચે જયેશ રાદડિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
નરેશભાઈએ કઈ પાર્ટીમાં જોડાવું તે તેમનો અંગત નિર્ણયઃ રાદડિયા
પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે, બેઠકમાં કોઈ જ રાજકીય ચર્ચા નહીં થાય. બેઠકમાં હરિદ્વાર, મથુરામાં સમાજ ભવન બનવાનું છે તેની ચર્ચા થશે. નરેશભાઈ ટ્રસ્ટી હોવાથી તે પણ હાજર રહેવાના છે. નરેશભાઈએ કઈ પાર્ટીમાં જોડાવું તે તેમનો અંગત નિર્ણય હશે. કોઈ પણ રાજકીય ચર્ચા આ બેઠકમાં થવાની નથી. બેઠકમાં સમાજ સિવાય એક પણ મુદ્દા પર ચર્ચા નહી થાય.
નરેશ પટેલના રાજકીય પ્રવેશ મામલે આજે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું કે કોઈપણ ભારતના નાગરિકે કોઈપણ પાર્ટીમાં જોડાવવું એ એમનો અધિકાર છે. શુ કામમાં બધા નથી આવતા ખાલી કિનારાથી મજા લે છે બધા?.
રાજકારણમાં જોડાવા અંગે શું કહ્યું હતું નરેશ પટેલે ?
નરેશ પટેલ હાલ રાજનીતિમાં ખુબ ચર્ચામાં છે. કારણ કે તેમણે રાજનીતિમાં જોડાવાના સંકેત આપ્યા છે. રાજકીય પાર્ટીમાં જોડાવવા મુદ્દે નરેશ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મેં હજુ કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સમાજને પૂછીને આ અંગેને કોઈ નિર્ણય લઈશ. તેમજ ભાજપના લોકો આવશે તો વિચારીશું. ભાજપના લોકો આવશે તેની મને ખબર નથી. રાજકારણમાં પ્રવેશ કરવો તે મોટો નિર્ણય છે. હું મારા સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છું. તેમજ અગામી હોળીના તહેવાર બાદ એટલે કે, 20 થી 30 માર્ચ દરમિયાન તેઓના રાજકીય પ્રવેશ અંગ ખબર પડશે.