આરોગ્ય સચિવ જયંતી રવિએ આજની પત્રકાર પરિષદમાં ICMR દ્વારા મંજૂર કરાયેલી પ્લાઝ્મા ટ્રાન્સફ્યુઝન થેરાપીની મદદથી ગુજરાતના કોરોનાના ગંભીર દર્દીઓને સારવાર આપવા માટે સરકારે કેન્દ્રમાં દરખાસ્ત મૂકી છે તેવો ઉલ્લેખ કર્યો હતો. તો એ જાણવું જરૂરી છે કે આ થેરાપી શું છે અને તે દર્દીઓને કેવી રીતે બચાવે છે?
રિકવર થયેલા દર્દીના લોહીમાં રહેલી રોગ પ્રતિકારક શક્તિની મદદથી રોગીના શરીરમાં એન્ટિબોડીઝ ઉભા કરવામાં આવે છે
ICMR એપૃવ્ડ આ સારવાર કેરળમાં દર્દીઓ ઉપર અમલ કરવામાં આવી હતી
ગુજરાતમાં કોરોનાના વધતા કેસીસ મુદ્દે આરોગ્ય સચિવ જયંતી રવિએ અગત્યની નિવેદન આપતા કહ્યું હતું કે ICMR દ્વારા મંજૂર કરાયેલી પ્લાઝ્મા ટ્રાન્સફ્યુઝન થેરાપીની મદદથી ગુજરાતના કોરોનાના ગંભીર દર્દીઓને સારવાર આપવા માટે સરકારે કેન્દ્રમાં દરખાસ્ત મૂકી છે. તેમણે જણાવ્યું હતું કે આ સારવારમાં રીકવર થયેલા દર્દીના શરીરમાંથી પ્લાઝ્મા લઇને તેને ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીને અપાય છે જેથી રીકવર થયેલા દર્દીના એન્ટિબોડીઝ ગંભીર દર્દીના શરીરમાં રોગને પ્રતિકાર કરવાની શક્તિમાં વધારો કરે છે. રવિએ જણાવ્યું કે આ સારવાર વર્ષો પહેલા આવેલી સ્પેનિશ ફ્લુ મહામારી વખતે પણ વાપરવામાં આવી હતી અને કેરળમાં પણ દર્દીઓ ઉપર આ પ્રયોગ કરવામાં આવ્યો છે.
CM રૂપાણીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન સાથે વાત કરી
રવિએ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની આ સારવાર ગુજરાતમાં શરુ થાય એવી ખૂબ ઈચ્છા છે. આ માટે તેમણે કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન સાથે ગુજરાતમાં પ્લાઝ્મા ટ્રાન્સફ્યુઝન થેરાપી મુદ્દે મંજૂરી આપવા વાત કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર કમલેશ ઉપાધ્યાયની ટીમે આ મુદ્દે એક પ્રપોઝલ ICMRને મોકલી છે. તદુપરાંત અમદાવાદમાં AMCના કમિશ્નરે અમદાવાદમાં પ્લાઝ્માનું દાન કરવા માટે વોલન્ટીયર્સ પણ તૈયાર કરી રાખવામાં આવ્યા છે.
શું છે પ્લાઝ્મા ટ્રાન્સફ્યુઝન થેરાપી?
કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આવી સ્થિતિમાં, વિશ્વભરના નિષ્ણાતો વૈજ્ઞાનિકો અને ડોકટરો આ રોગનો ઉપચાર શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે આ માટે એક નવી ઉપચાર પદ્ધતિ શોધવામાં આવી છે જેને 'પ્લાઝ્મા થેરેપી' કહેવામાં આવે છે.
આ અન્વયે શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ અને ટેક્નોલોજી (SCTIMST) અને ઇન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ આ જીવલેણ વાયરસથી પીડિત દર્દીઓને અસરકારક સારવાર આપવા માટે નવી રીતની શોધ કરી છે.
સારવારની આ નવી તકનીકને 'પ્લાઝ્મા થેરેપી' કહેવામાં આવે છે. સારવારની આ નવી પદ્ધતિમાં આ રોગથી રિકવર થયેલા વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વડે માંદા વ્યક્તિને સારવાર આપવામાં આવે છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ભારતમાં આ રીતે સારવાર માટે SCTIMSTને મંજૂરી આપી છે. SCTIMSTના ડાયરેક્ટર ડો.આશા કિશોરે જણાવ્યું હતું કે, અમે આ મુદ્દે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને રક્તદાનના ધારાધોરણોમાં રાહત આપવા માટેની પરવાનગી આપવા માટે અરજી કરી છે.
કોન્સ્ટેલેસેંટ -પ્લાઝ્મા ઉપચાર શું છે?
હવે આવામાં સવાલ એ ઉભો થાય છે કે આખરે કોન્સ્ટેલેસેંટ -પ્લાઝ્મા ઉપચાર શું છે? આ સારવાર પ્રણાલીમાં જે તે દર્દીના લોહીમાં, આ રોગથી સાજા થઇ ચુકેલા દર્દીનું લોહી ઉમેરીને તેની રોગ પ્રતિકારક શક્તિ વધારીને તેના શરીરમાં બીમારીથી લડવા માટેના એન્ટિબોડીઝ ઉમેરવામાં આવે છે. એન્ટિબોડીઝ દ્વારા શરીરમાં વાયરસની ઓળખ થાય છે. આ પછી માનવ શરીરમાં જોવા મળતા શ્વેત રક્ત કોશિકાઓ, શરીરની અંદર આવા વાયરસને મારી નાખે છે, જેથી શરીર ચેપથી છુટકારો મેળવે છે.
એન્ટિબોડીઝ એટલે શું?
હવે અમે તમને જણાવી દઈએ કે એન્ટિબોડીઝ એટલે શું? ચેપ સામેની પ્રતિરક્ષા પ્રતિભાવમાં એન્ટિબોડી સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ખાસ પ્રકારના પ્રોટીન છે જેને રોગપ્રતિકારક કોષો કહેવામાં આવે છે જેમને બી લિમ્ફોસાઇટ્સ નામની પ્રતિરક્ષા કોશિકાઓ શરીરમાં મુકે છે.
જ્યારે કોઈ વાયરસ આવે છે જે શરીર પર હુમલો કરે છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ એન્ટિબોડીઝની રચના કરે છે, જે દરેક આક્રમણ કરનાર વાયરસનો નાશ કરવાનું શરૂ કરે છે અને અંતે શરીરને ચેપથી મુક્ત કરે છે.