દિવસેને દિવસે કોરોના સંકટના વધતા પ્રભાવને લઇને દેશમાં લોકડાઉન વધારવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છો. ગઇકાલે કોંગ્રેસના ધારાસભ્ય રાજ્યના મુખ્યમંત્રીને મળ્યા તેમનો જ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સેલ્ફ ક્વોરેન્ટાઇન થયાં હતા. ત્યારે છેલ્લા 24 કલાકની કોરોનાની સ્થિતિનો તાગ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવિએ આપતા કહ્યું કે, રાજ્યમાં આજે કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 46 પોઝિટિવ કેસ આવતા કુલ કોરોના પીડિતોની સંખ્યા 766 થઇ છે.
પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવે વધુમાં જણાવ્યું હતું કે,આજરોજ કોરોના વાયરસને કારણે 3 મોત થયાં છે. તો આજે 6 વેન્ટિલેટર પર છે. ત્યારે આજે રાજ્યમાં 4 સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 3213 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 116 પોઝિટિવ તો નેગેટિવ 3097 છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 19197 ટેસ્ટ કરાયા છે. 669 સારવાર હેઠળ છે.