ભાજપના પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળી હત્યા કેસમાં ગઈ કાલે 2 નામો બહાર આવ્યા બાદ આજે વધુ એક નામ બહાર આવ્યું છે. આ હત્યા કેસમાં વધુ એક વ્યક્તિની અટકાયત કરાઈ છે. સિકંદર નામના વ્યક્તિની અટકાયત કરીને પોલીસે પૂછપરછ કરી હતી. પોલીસ ખાસ કરીને અંગત અદાવત જમીન વિવાદ અને પૈસાની લેતી-દેતીના મુદ્દાઓને તપાસી રહી છે. પોલીસે અત્યાર સુધી ભાનુશાલી મર્ડર કેસમાં કુલ 5 લોકોની અટકાયત કરી છે.
નોંધનીય છે કે ગઈ કાલે 2 વ્યક્તિઓના નામ પણ સામે આવ્યાં હતાં. પોલીસની તપાસમાં શેખર મોરે અને સુરજીત નામના વ્યક્તિનુ નામ સામે આવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી ઉત્તરપ્રદેશથી પોલીસે એક શખ્સની અટકાયત પણ કરી હતી.
બીજી બાજુ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યામાં ઉમેશ પરમાર પર શંકા સેવાઈ રહી છે. એટલું જ નહીં પરંતુ ઉમેશ પરમાર સામે ભાનુશાળીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે ત્યારે આ મામલે VTV સાથે વાત કરતા ઉમેશ પરમારે જણાવ્યું કે મારા પર લગાવવામાં આવી રહેલા આરોપ ખોટા છે હું નિર્દોષ છું અને મને ખોટી રીતે ફાસવવામાં આવી રહ્યો છે. જોકે ઉમેશ પરમારે પણ જયંતિ ભાનુશાળીના ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત મળતી માહિતી અનુસાર જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તપાસ એજન્સીઓમાં પણ ખેંચતાણ ચાલી રહી છે. કેસને ઉકેલવા માટે તપાસ એજન્સીઓમાં અંદરો અંદર ખેંચતાણ થઈ રહી છે. SIT સહિતની તપાસ એજન્સીઓ ડિટેક્શનને લઈને અંદરોઅંદર ઈર્ષ્યાની ભાવના ફેલાઈ છે તો કેસમાં નિવેદન લેવા સિવાય SITની કોઈ કામગીરી રહી નથી. જ્યારે અધિકારીઓ પણ આરોપીઓ બાબતે એક બીજાને ખો આપી રહ્યા છે.
જ્યંતિ ભાનુશાળી હત્યા કેસમાં રેલવે SITને હત્યારાઓની મળી કડી છે. ટુંક સમયમાં જ પોલીસ હત્યાનો ભેદ ઉકેલીને ખૂલાસો કરી શકે છે. જ્યંતિ ભાનુશાળીની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની શકયતા છે. હાલ SITએ પરિવારનું નિવેદન લેવા SP કચેરીએ બોલાવ્યા હતાં અને સાથે જ હત્યારાઓ વચ્ચેના પુરાવાની ખરાઈ કરવા પોલીસ તપાસ શરૂ કરી હતાં. જ્યારે H1 કોચની ઘટનાને લઈને રી-કન્સ્ટ્રકશન કરીને પૂરાવાની તપાસ કરવામાં આવી હતી.