ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા મામલે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહે રાજ્યના પોલીસ વડા સાથે વાતચીત કરી છે. આ હત્યા મામલે એટીએસ અને ક્રાઇમ બ્રાંચને સાથે રાખીને SITની રચના કરવામાં આવી છે. આ સીટ દ્વારા હત્યા મામલે તપાસ હાથ ધરશે.
ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. મોરબી માળિયા મિયાણા વચ્ચેની આ ઘટના છે. અજાણ્યા શખ્સોએ જયંતિ ભાનુશાળી પર ફાયરિંગ કરતા એક ગોળી આંખમાં વાગી અને એક ગોળી છાતીમાં વાગતા તેમનું મોત થયુ છે.
તેઓ ભૂજથી દાદર જઈ રહેલી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે મોડી રાતે અજાણ્યા શખ્સો દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસમાં મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે આ હત્યા થઈ છે.
ઉલ્લેખનીય છે કે તેઓ ગુજરાત ભાજપના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. તો થોડા સમય પહેલા જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મનો આરોપ પણ લાગ્યો હતો.
આરોપ બાદ જયંતિ ભાનુશાળીએ પોતાના પદેથી રાજીનામુ આપ્યુ હતું. એટલું જ નહીં તેઓ કચ્છ જિલ્લા ભાજપના દિગ્ગજ નેતા પણ હતા.
જયંતિ ભાનુશાળી ભાજપના નેતા છે. તેઓ અબડાસા પાસેના કોઠારાના વતની છે. જયંતિ ભાનુશાળી 1980ના દાયકાથી અબડાસા તાલુકા અને કચ્છ જિલ્લાના રાજકારણમાં સક્રિય હતા.
વર્ષ 2007માં ભાજપે તેમને અબડાસા બેઠકની ટિકિટ આપી. આ ચૂંટણીમાં તેમનો વિજય થયો હતો. જ્યારે 2012ની વિધાનસભામાં છબીલ પટેલ સામે તેમનો પરાજય થયો હતો.