મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમી જોવા મળી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા અજિત પવારે બળવો કર્યા પછી એનસીપીએ શનિવારે તેના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી અને મોટી કાર્યવાહી કર્યા બાદ અજિત પવારને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવ્યા હતા. જયંત પાટિલને અજિત પવારની જગ્યાએ એનસીપી વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે વરણી કરવામાં આવી હતી.
અજિત પવારને ધારાસભ્ય દળના નેતા તરીકેથી હટાવાયા
જયંત પાટિલની વરણી
શરદ પવારની નજીકના વ્યક્તિમાં થાય છે ગણના
શરદ પવારના ખૂબ જ નજીકના નેતાઓમાં ગણાતા જયંત રાજારામ પાટિલ મહારાષ્ટ્રના રાજકારણમાં એક જાણીતું નામ છે. તે ઇસ્લામપુર વાલવા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે. તે પૃથ્વીરાજ ચવ્હાણ સરકારમાં ગ્રામીણ વિકાસ પ્રધાન રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ નાણાં પ્રધાન અને ગૃહ પ્રધાન પણ રહી ચૂક્યા છે.
કોણ છે જયંત પાટિલ
જયંત પાટિલ મોટા રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. રાજારામ બાપુ પાટિલ 1962 થી 1970 અને 1978 દરમિયાન મહારાષ્ટ્રમાં પ્રધાન રહ્યા છે. 1984 માં રાજારામના અચાનક અવસાન પછી, જયંતને સ્વદેશ પરત ફરવું પડ્યું. જયંત સ્વદેશ આવ્યા બાદ રાજકારણમાં પ્રવેશ્યા હતા. ઇસ્લામપુર વાલવા વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી.
2008 માં બન્યા મહારાષ્ટ્રના ગૃહમંત્રી
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સંગઠન સરકાર (1999 થી 2008) સુધી નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. આ ગઠબંધન 10 વર્ષ ચાલ્યુ હતું. જયંત મહારાષ્ટ્ર વિધાનસભામાં 9 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવે છે. 2008 માં મુંબઇમાં થયેલ આંતકી હુમલા બાદ મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહમંત્રી આર.આર.પાટીલે પોતાના પદેથી રાજીનામું ધરી દેતા જયંત પાટિલને નવા ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા.
પાટિલના કાર્યકાળમાં મહારાષ્ટ્રનો ઘણો વિકાસ થયો
2009 માં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સત્તા પર પાછા આવ્યા પછી, જયંત પાટિલને ગ્રામીણ વિકાસ પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્રએ તેમના કાર્યકાળમાં ઘણી પ્રગતિ કરી હતી. જયંત પાટિલે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ હલ્લા બોલ આંદોલન શરૂ કર્યું હતું. તેઓ પક્ષના સ્વચ્છ અને ઉચ્ચ શિક્ષિત નેતાઓમાં ગણાય છે.