NCP પ્રમુખ જયંત બૉસ્કીએ સીએમ રૂપાણીને પત્ર લખીને લોકડાઉન લગાવવા તથા નીતિન પટેલના રાજીનામાંની માંગ કરી છે.
જયંત બોસ્કીએ લખ્યો CMને પત્ર
કોરોના કેસને લઇને કરી રજૂઆત
લોકડાઉન એકમાત્ર વિકલ્પ હોવાનું જણાવ્યું
લોકડાઉન જ એક માત્ર વિકલ્પ હોવાનો ઉલ્લેખ
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે NCP પ્રમુખ જયંત બોસ્કીએ સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. વધતાં કોરોના વાયરસના કેસના કારણે તેમણે રજૂઆત કરી છે કે ગુજરાતમાં લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે.
નીતિન પટેલના રાજીનામાં કરી માંગ
આ સિવાય બોસ્કીએ કોરોના સંક્રમણ વધવા માટે સરકારને જ જવાબદાર ઠેરવી છે અને પુરતા પ્રમાણમાં ઇન્જેક્શન પણ ન મળતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આટલું જ નહીં બોસ્કીએ માંગ કરી છે કે હવે રાજ્યના નાયમ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજીનામું આપવું જોઈએ.
એક જ દિવસમાં 6 હજાર કેસ સામે આવ્યા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 6021 કેસ નોંધાયા છે અને 2854 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,17981 દર્દીઓ કોરોનામુક્ત થયાં છે. ગઈ કાલે રાજ્યમાં 55 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4855 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 216 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 30,680 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1907 કેસ જ્યારે સુરત શહેરમાં 1174 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 295 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 261 કેસ, જ્યારે ગ્રામ્યમાં 120 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 503 કેસ અને ગ્રામ્યમાં 73 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં વધતા કોરોનાના સંક્રમણને લઈ દર્દીઓનો જમાવડો થયો છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી ગઈ છે. એક એક એમ્બ્યુલન્સ 2થી 3 કલાક સુધી લાંબી લાઈનમાં છે. દર્દીઓએ સારવાર માટે 3 કલાક જેટલી રાહ જોવી પડી હતી. પરિવારજનો અને દર્દીઓ હોસ્પિટલની બહાર જ અટવાયા હોવાના દૃશ્યો સામે આવી રહ્યા છે. ઉનાળાના તાપ વચ્ચે લોકો પાણીની પણ માગણી કરી રહ્યા છે.
એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં જગ્યા નથી
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસમાં રાત્રે એક જ કલાકમાં 45 એમ્બ્યુલન્સ દર્દીઓને લઈને દોડી આવતા કેમ્પસ ફૂલ થઈ ગયું હતું. ડૉ. જે.વી મોદીએ જણાવ્યું હતું કે હાલ 2100 બેડમાંથી 2008 બેડ પર દર્દીઓને રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત હોસ્પિટલની બહાર 108ની લાઈનો લાગી છે. તેમણે કહ્યું હતું કે દર્દીઓ આખા શહેરમાં ફરી ફરીને આખરે છેલ્લે સિવિલમાં જ આવે છે.