ગુજરાત ચૂંટણી પહેલા પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે સૂચક મુલાકાત કરી હતી. ચૂંટણી પહેલા ગહેલોત સાથેની મુલાકાતને લઇને અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. ત્યારે હવે આ મામલે જયનારાપણ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે.
ભાજપ નેતા જય નારાયણ વ્યાસે અશોક ગેહલોત સાથે કરી હતી મુલાકાત
અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બંન્ને નેતાઓ વચ્ચે થઈ હતી બેઠક
બેઠક બાદ જય નારાયણ વ્યાસે આપ્યું નિવેદન
મેં કોઈ રાજકીય ચર્ચા ગેહલોત સાથે નથી કરીઃ વ્યાસ
ગુજરાત ચૂંટણીને લઇને નેતાઓમાં પક્ષપલટાની હોડ જામી છે. આવી સ્થિતિ વચ્ચે જય નારાયણ વ્યાસ ભાજપથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યા હતા. અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. જ્યાં 20 મિનિટ જેટલો સમય ગેહલોત સાથે જય નારાયણ વ્યાસની ચર્ચા ચાલી હતી. જે બાદ અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતા. આ તમામ વચ્ચે જય નાયારણ વ્યાસે VTV સાથે ખાસ વાતચીત કરી હતી.
મેં રાજસ્થાનના સીએમ સાથે રાજકીય ચર્ચા કરી નથીઃ વ્યાસ
જેમાં જયનાયારણ વ્યાસે કહ્યું કે, મેં ગેહલોત સાથે રાજકીય ચર્ચા કરી નથી. આ બેઠક એક પુસ્તકને લઈને હતી. હું નર્મદા ઉપર એક પુસ્તક લખવા જઈ રહ્યો છું અને અલગ અલગ મુદ્દાઓ આવરી લેવાનો છું. નર્મદાની વાત છે તો આપણે નર્મદાનું પાણી વધુમાં વધુ ખેડૂતોને પહોંચાડી શકીએ જે રાજસ્થાન કરી રહ્યું છે. આ પુસ્તકમાં હું રાજસ્થાનના મોડલનો ઉલ્લેખ કરવા માંગતો હોવાથી મેં અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી.
હું સિદ્ધપુર સિવાય ક્યાંયથી ચૂંટણી નહીં લડુંઃ જયનારાયરણ વ્યાસ
તેમણે જણાવ્યું કે, મેં ભાજપ પાસેથી સિદ્ધપુર બેઠકની ટિકિટ માંગી છે. આ ટિકિટનો પહેલાં હકદાર હું જ છું. જો ભાજપ પાસેથી ટિકિટ નહીં મળે, તો કાર્યકર્તાઓને પૂછીને આગળનો નિર્ણય કરીશ. એક વાત ક્લિયર છે કે હું સિદ્ધપુર સિવાય ચૂંટણી ક્યાંયથી નહીં લડું.
કોણ છે જય નારાયણ વ્યાસ
- જય નારાયણ વ્યાસ પૂર્વ આરોગ્યમંત્રી રહી ચૂક્યા છે.
- તેઓ સિદ્ધપુરના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
- જય નારાયણ વ્યાસ ગત ચૂંટણીમાં પાટણની સિદ્ધપુર બેઠક પર ભાજપમાંથી લડ્યા હતા
- વ્યાસ વિશ્લેષક, શિક્ષણવિદ, વહીવટકર્તા, મેનેજર અને જાહેર જીવન કાર્યકર્તા છે.
- તેઓ 2007થી 2012 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા હતા.